અયોધ્યા પર શું હતો અલાહાબાદ હાઈ કોર્ટનો ૨૦૧૦નો ચુકાદો
અયોધ્યા
(જી.એન.એસ.) અયોધ્યા કેસ પર સુપ્રીમ કોર્ટે ગઈ કાલે સવારે ૧૦.૩૦ વાગ્યે ચુકાદો સંભળાવ્યો હતો. ૪૦ દિવસ સુધી ચાલેલી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે ૧૬ ઑક્ટોબરે ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો. આપને જણાવી દઈએ કે આ કેસમાં અલાહાબાદ હાઈ કોર્ટે ૨૦૧૦માં પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. હાઈ કોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૦ના રોજ અલાહાબાદ હાઈ કોર્ટે અયોધ્યાના વિવાદાસ્પદ સ્થળને રામજન્મભૂમિ ગણાવી હતી. હાઈ કોર્ટે ૨.૭૭ એકર જમીનની વહેંચણી કરી દીધી હતી. કોર્ટે સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલાની વચ્ચે જમીન સરખા ભાગે વહેંચવાનો આદેશ આપ્યો હતો. કેસ સાથે જોડાયેલી ત્રણ પાર્ટીઓ નિર્મોહી અખાડા, સુન્ની વકફ બોર્ડ અને રામલલા બિરાજમાને આ ચુકાદો માનવાની ના પાડી દીધી હતી. હાઈ કોર્ટના આ ચુકાદાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ૧૪ અરજી દાખલ થઈ હતી. આ કેસ છેલ્લાં નવ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હતો.
આ પણ વાંચો : તમને ખબર છે, રામમંદિર બનાવવા માટે પગથી માપ લેવાયું હતું
આ કેસની ૬ ઑગસ્ટે સુપ્રીમ કોર્ટમાં દરરોજ સુનાવણી શરૂ થઈ જે ૧૬ ઑક્ટોબરના રોજ ખતમ થઈ. સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની નેતૃત્વવાળી પાંચ જજોની બેન્ચે ચુકાદો સુરક્ષિત રાખી લીધો છે. આ બેન્ચમાં ન્યાયમૂર્તિ બોબડે, ન્યાયમૂર્તિ ધનંજય વાઈ ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ એસ. અબ્દુલ નજીર હતા. ચુકાદાને ધ્યાનમાં રાખતાં અયોધ્યામાં કલમ ૧૪૪ લાગુ છે.