'He'roes હોઇ શકે તો 'She'roes કેમ નહીં, તો આ રીતે બન્યું 'શીરોઝ' કૅફે
શીરોઝ
દેશભરમાં જ્યાં નવરાત્રિ અને ત્યાર બાદ દશેરા ધૂમધામથી ઉજવાઈ અને સતત 10 દિવસ સુધી સ્ત્રી શક્તિની પૂજા અર્ચના કરવામાં આવી અને અસત્ય પર સત્યનો અને દુર્ગુણો પર સદ્ગુણોના વિજયનો દિવસ ઉજવવામાં આવ્યો ત્યારે આ 10 દિવસ બાદ એક એવા કૅફે વિશે વાત કરીએ જે અનેક પીડિતા મહિલાઓનું ઉદ્ધારસ્થાન બન્યું છે. આજે આપણે એક એવી ખાસ જગ્યા વિશે જાણીએ જ્યાં સમાજના દુરાચારનો ભોગ બનેલી સ્ત્રીઓ જ સમાજમાં મહત્વપૂર્ણ સહકાર કરી સ્વાવલંબી જીવન જીવી રહી છે, વાત કરવી છે, 'શીરોઝ કેફે'ની.
શીરોઝ વિશે...
જો 'હિરોઝ' હોઈ શકે તો શીરોઝ કેમ નહીં? બસ આજ કલ્પનામાંથી શીરોઝ કેફેનું નામકરણ થયું. શીરોઝમાં 6 થી 7 ટેબલ છે, ઈન્ટિરીયર ડિઝાઈન પણ સરસ છે. ઝડપી સેવા તેમજ હસતે મુખે થતાં સ્વાગત માટે આ કેફે વિખ્યાત છે. પણ અહીં બીજી એક ખાસ વિશેષતા છે, જેની જાણ જે ફોરેનરને હોય તે ફોરેનરો પણ આ કેફેમાં ચોક્કસ આવે છે, અને અહીં ખાસ સેલ્ફી લે છે. મહત્વનું છે કે આ ઘટના પર અને સમાજમાં લોકો વચ્ચે સ્વમાનભેર ઉભા રહેવા માટે બોલીવુડમાં એક ફિલ્મ બની રહી છે જેનું નામ છપાક છે અને તેમાં મુખ્ય ભુમિકા દીપિકા પાદુકોણ કરી રહી છે.
ADVERTISEMENT
શું છે વિશેષતા?
સમાજમાં સ્ત્રીઓ પર એસિડિક હુમલાની ઘટના અવારનવાર બનતી હોય છે. પરંતુ તેમાંની અનેક મહિલા-યુવતીઓ રૂપ ગુમાવતાં હિંમત હારી જઈ ઘરમાં બેસી જાય છે. પરંતુ આ શીરોઝ કેફ એવું છે કે જે આખું કાફે એસિડના હુમલાનો ભોગ બનેલી સ્ત્રીઓ દ્વારા ચલાવાય છે. અને સમાજમાં આગવું સ્થાન મેળવી આ નારીઓ પણ અન્યની જેમ સરળ જીવન જીવે છે. બસ, જરૂર છે માત્ર એક પગલું પોતાના જીવનને સાર્થક કરવા તરફ આગળ વધારવાની.
જાણો શીરોઝની નારીઓને!
રુકૈયા અહીં શૈફ તરીકે કામ કરે છે, તે કહે છે હું ૧૪ વર્ષની હતી ત્યારે મારા પર હુમલો થયો. ત્યારે મેં રૂપ ગુમાવ્યું પણ ઘરના અરીસા ન કાઢ્યા. હુ શીરોઝમાં જોડાઈ અને ફરી યોગ્ય અને સામાન્ય જીવન જીવવા લાગી.
શીરોઝમાં ગીતા સૌથી વરિષ્ઠ છે. તેમને બધાં મા કહીને બોલાવે છે. ઘરની ચાર દિવાલ ઓળંગવાનો હક્ક ન ધરાવતી આ મહિલા પર ઘરનાએજ હુમલો કર્યા બાદ તેમણે શીરોઝનું શરણું લીધું. આજે તેઓ જાતકમાણી ખાય છે અને માનભેર જીવે છે.
શીરોઝ છે ક્યાં?
શીરોઝ એ આગ્રા અને લખનઉ બંને સ્થળે છે. આગ્રામાં તાજમહેલની નજીક જ છે. આપણે જ્યારે પણ આગ્રા જઈએ ત્યારે તનથી કદાચ હવે નહીં પરંતુ મનથી તથા કર્મથી ચોક્કસ સુંદર એવી આ મહિલાઓની કેફેની એક મુલાકાત લેવી જોઈએ. આ કેફે દ્વારા એસિડિક હુમલા અટકાવવા અનેક જાગૃતિ અભિયાનો પણ હાથ ધરાય છે.
આ પણ વાંચો : શું તમને ખબર છે આ ગુજરાતીઓ રહી ચુક્યા છે 'બિગ બૉસ'ના ઘરમાં!
આ સંપૂર્ણ શીરોઝની કલ્પના જેના મનમાં આવી તે લક્ષ્મી અગ્રવાલ, જે પોતે ૨૦૦૫ એસિડ હુમલાનો ભોગ બની હતી. તેમણે આ આખી વ્યવસ્થા કઈ રીતે ઊભી કરી અને તેને એક ઝુંબેશનું સ્વરૂપ આપ્યું. આ નિડર દુર્ગા સ્વરૂપી સ્ત્રીઓને બિરદાવવા ૨૦૨૦માં આવી રહી છે ફિલ્મ છપાક. જેમાં લક્ષ્મીનું પાત્ર દિપીકા પાદુકોણ ભજવશે.