ઉદ્ઘાટન પહેલાં જ ખારઘરના સ્કાયવૉકનું લાઇટબિલ અધધધ ૫૫,૦૦૦ રૂપિયા
વધુમાં ફ્લાયઓવરમાં બેસાડેલી ૪૧૦ ટ્યુબલાઇટ્સ આખી રાત ચાલુ રાખી ટૅક્સ ભરનારા લોકોના રૂપિયા વેડફવામાં આવી રહ્યા છે. મુખ્ય પ્રધાન જ્યાં સુધી એનું ઉદ્ઘાટન નહીં કરે ત્યાં સુધી એ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં નહીં આવે એ વાત પર સિડકો મક્કમ છે, પરંતુ રાતભર વપરાશ વગરના સ્કાયવૉક પર ટ્યુબલાઇટ્સ ચાલુ રાખવાના સિડકોના નિર્ણયને કારણે લોકો ભારે નારાજ છે. ખારઘરના સામાજિક કાર્યકર સુનીલ સાવરડેકરે કહ્યું હતું કે ‘સાયન-પનવેલ હાઇવે પરના સ્કાયવૉકને શરૂ ન કરીને સિડકો પગપાળા જતા લોકોના જીવ સાથે રમત રમી રહી છે. રાત્રે ૧૨ વાગ્યા સુધી ટ્યુબલાઇટ્સ સિડકો શા માટે ચાલુ રાખે છે? શું એણે સ્કાયવૉકને વેચવો છે?’
ગયા મહિને સિડકોએ ૪૧૦ ટ્યુબલાઇટ્સ માટે ઇલેક્ટ્રિકનું ૫૫,૦૦૦ રૂપિયા બિલ પણ ભર્યું હતું. બીજી તરફ સિડકોના અધિકારીઓનું કહેવું છે કે અસામાજિક તત્વોને દૂર રાખવા માટે જ ટ્યુબલાઇટો ચાલુ રાખવામાં આવે છે. જોકે ખારઘરના રહેવાસીઓનું કહેવું છે કે બેથી ત્રણ સિક્યૉરિટી ગાર્ડ્સ મૂકવાથી પણ અસામાજિક તત્વોની સમસ્યા અટકાવી શકાય છે. સિડકોના પબ્લિક રિલેશન્સ ઑફિસર મોહન નિનાવેએ કહ્યું હતું કે ‘ખારઘરમાં ટેસ્ટિંગવર્ક ચાલુ હોવાથી લાઇટો ચાલુ રાખવામાં આવી હશે. જોકે શા માટે બધી ટ્યુબલાઇટો ચાલુ રાખવામાં આવી એની માહિતી હું મેળવીશ.’
સિડકો - ઘ્ત્Dઘ્બ્ = સિટી ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન