મૈં નશે મેં થા...
જ્હાનવી (ડાબે) તેની માતા, નિધિ સાથે.
ન્યુ યર સેલિબ્રેશન પાર્ટીની ઉજવણી દરમ્યાન ખારમાં થયેલી ૧૯ વર્ષની યુવતી જ્હાનવી કુકરેજાની હત્યાના કેસમાં ખાર પોલીસે હવે આરોપીઓ સામે વૉટર ટાઇટ કેસ બનાવવા ફૉરેન્સિક પુરાવા ભેગા કરવા પર લક્ષ્ય કેન્દ્રિત કર્યું છે. તેમણે મરનાર જ્હાનવી સહિત બન્ને આરોપીઓ શ્રી જોધનકર અને દિયા પડાળકરના તથા પાર્ટીમાં સામેલ અન્ય લોકોના નખનાં સૅમ્પલ લીધાં છે. પોલીસ નખનાં સૅમ્પલના ડીએનએ ટેસ્ટ કરી એ જાણવા માગી રહી છે કે જ્યારે જ્હાનવીની હત્યા થઈ ત્યારે એ જગ્યાએ આરોપીઓ સાથે અન્ય કોઈ હતું કે નહીં. એ ઉપરાંત કઈ રીતે એ ઘટના બની એ વધુ સારી રીતે સમજવા આ અઠવાડિયે એ મર્ડર-સીનનું ઘટનાસ્થળે જઈ રીક્રેશન કરવામાં આવશે એમ પણ ખાર પોલીસે જણાવ્યું છે.
ખાર પોલીસે આ કેસમાં આરોપીઓ સહિત એ પાર્ટીમાં હાજર રહેલા ૧૨ જણનાં સ્ટેટમેન્ટ લીધાં છે, પણ એમાંય વિસંગતિઓ જોવા મળી છે. વળી દરેક જણે એમ કહ્યું છે કે એ રાતે અમે બહુ દારૂ પીધો હતો એટલે એમને ખાસ કશું યાદ નથી. એથી એ રાતે ચોક્કસ શું બન્યું હતું અને શાને કારણે જ્હાનવીની હત્યા થઈ એ જાણવા પોલીસ ગડમથલ કરી રહી છે. સ્ટેટમેન્ટમાં વિસંગતિઓ હોવાથી હવે તેમણે કેસને મજબૂત બનાવવા ફૉરેન્સિક પુરાવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
ADVERTISEMENT
ખાર પોલીસે કહ્યું કે પ્રારંભિક તપાસ મુજબ જ્હાનવીની જ્યારે બીજા માળે મારપીટ થઈ રહી હતી ત્યારે તેણે એમાંથી છૂટવાના ઘણા પ્રયાસ કર્યા હોઈ શકે. તેને બીજા માળથી લઈને ગ્રાઉન્ડ ફ્લોર સુધી ઢસડવામાં આવી હતી. નખનાં સૅમ્પલ ઉપરાંત ઘટનાસ્થળેથી જ્હાનવીના વાળનો ગુચ્છો પણ મળી આવ્યો હતો. ઘટનાસ્થળેથી જેકાંઈ મળી આવ્યું છે એ બધું ફૉરેન્સિક તપાસ માટે ડીએનએ ટેસ્ટિંગ માટે લૅબમાં મોકલાયું છે. ફૉરેન્સિક ટીમે આવીને ત્યાંથી ફુટ-પ્રિન્ટ પણ લીધી છે જેના પરથી ખબર પડી શકશે કે બન્ને આરોપી અને મરનાર સિવાય એ વખતે અન્ય કોઈ ત્યાં હાજર હતું કે નહીં.
આ પણ વાંચો: ખારના લવ-ટ્રાયેન્ગલ મર્ડરકેસમાં પીડિતાનો મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો હોવાનો ખુલાસો
એ રાતે ચોક્કસ શાને કારણે હત્યા થઈ એની તપાસમાં પોલીસ લાગી છે. પાર્ટીમાં હાજર લોકોએ આપેલાં સ્ટેટમેન્ટ મુજબ તેમણે શ્રી અને દિયાને કઢંગી હાલતમાં જોયા પછી જ્હાનવી ડિસ્ટર્બ હતી એમ કહ્યું છે. એટલું જ નહીં, ત્યાર બાદ તે સ્ટેરકેસ પાસે જઈને ફોન પર કોઈકની સાથે વાત કરી રહી હતી એમ પણ જણાવ્યું છે. પોલીસતપાસમાં જાણવા મળ્યું છે કે પાર્ટીનું આયોજન પહેલેથી જ કરવામાં આવ્યું હતું અને દરેક મેમ્બર પાસેથી ૧૨૦૦ રૂપિયા લેવામાં આવ્યા હતા. તપાસ કરનાર અધિકારીએ કહ્યું છે કે એ સમજાતું નથી કે મધરાત બાદ બેથી ત્રણ વાગ્યાના સમયગાળામાં એવું તે શું બન્યું જેને કારણે હત્યા થઈ. સ્ટેરકેસ પર સીસીટીવી કૅમેરા નથી લાગેલા એટલે એ વિશે કોઈ કડી મળી નથી, પણ એટલું તો ચોક્કસ છે કે જ્યારે શ્રી અને દિયા જ્હાનવીને ઝઘડો કર્યા બાદ માર મારી રહ્યાં હતાં ત્યારે જ્હાનવીએ બૂમાબૂમ તો કરી જ હશે, પરંતુ કોઈને એ બૂમ સંભળાઈ નહીં એ વાતની નવાઈ લાગે છે.