દિવાળી બાદ સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે પ્રવાસીઓમાં 50 ટકાનો વધારો નોંધાયો
સ્ટૅચ્યુ ઑફ યુનિટી
સરદાર પટેલની પ્રતિમાનું ૨૦૧૮ની ૩૧ ઑક્ટોબરે રાષ્ટ્રાર્પણ થયા બાદ પ્રથમ વર્ષમાં જ પ્રવાસીઓનો સતત ધસારો જોવા મળેલ છે. ખાસ કરીને દિવાળીની રજાઓમાં નવાં આકર્ષણોના ઉમેરા સાથે પ્રવાસીઓ મોટી સંખ્યામાં સ્ટૅચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લેતા હોવાથી તેમની સંખ્યામાં ૫૦ ટકા જેટલો વધારો નોંધાયો છે. ગયા એક વર્ષમાં ૧૦ નવેમ્બર સુધી ૨૯,૩૨,૨૨૦ મુલાકાતીઓએ સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી.
દિવાળીની રજાઓમાં ૧ નવેમ્બરથી ૧૦ નવેમ્બર સુધીમાં ૨,૯૧,૬૪૦ લોકોએ સ્ટૅચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લીધી છે. ગઈ સાલની દિવાળીની રજાઓમાં સરેરાશ પ્રતિ દિન ૧૪,૯૧૮ પ્રવાસીઓની સામે ચાલુ સાલે દિવાળીની રજાઓમાં સરેરાશ પ્રતિ દિન ૨૨,૪૩૪ પ્રવાસીઓ નોંધાયા. સ્ટૅચ્યુ ઑફ યુનિટીની આસપાસ અનેરાં પ્રવાસન આકર્ષણો ઉમેરાતાં પ્રવાસીઓની સંખ્યામાં ૫૦.૦૪ ટકા વધારો થયો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : કાંકરિયા દુર્ઘટનાના પાંચ મહિના પછી જૂની શરતોએ રાઇડ ફરી શરૂ થશે
તાજેતરમાં કેવડિયા ખાતે ૧/૯/૨૦૧૯થી રીવર રાફ્ટિંગ તેમ જ ૨૫/૧૦/૨૦૧૯થી સાઇક્લિંગ જેવી પ્રવૃત્તિઓ વિકસાવવામાં આવેલ છે. આ પ્રવૃત્તિઓનો ખાસ કરીને યુવા પ્રવાસીઓ હજારોની સંખ્યામાં ઉત્સાહભેર લાભ લઈ રહ્યા છે. આ ઉપરાંત યુવા પ્રવાસીઓ માટે નાઇટ ટ્રેકિંગ, ક્લાઇમ્બિંગ વૉલ, રેપલિંગ વૉલ, ટુ-વે ઝીપ લાઇન વિગેરે પ્રવૃત્તિઓ ઝરવાણી ઇકોટૂરિઝમ સાઇટ પર વિકસાવવામાં આવેલ છે. દેશમાં પ્રથમ વાર કેવડિયા ખાતે નાઇટ ટૂરિઝમ - રાત્રે મુખ્ય માર્ગ તથા તમામ પ્રોજેક્ટ અવનવી રંગબેરંગી રોશનીથી ઝળહળી ઊઠે છે.