કેરળમાં આઇએસઆઇએસના 15 આતંકીઓ ઘૂસવાની આશંકા
પ્રતીકાત્મક તસવીર
ઇસ્લામિક સ્ટેટના શંકાસ્પદ આતંકીઓ બોટમાં સવાર થઈને કથિત રૂપે શ્રીલંકાથી લક્ષદ્વીપ માટે રવાના થયાના ગુપ્ત રિપોર્ટ મળ્યા બાદ કેરળના તટ પર હાઈ અલર્ટ જાહેર કરી દેવાયો છે. પોલીસ વિભાગનાં સૂત્રો અનુસાર તટીય પોલીસ-સ્ટેશનો અને તટીય જિલ્લા પોલીસને સાવધાન કરી દેવામાં આવ્યાં છે. ભારતીય કોસ્ટ ગાર્ડે લક્ષદ્વીપ તથા મિનિકોય દ્વીપ આસપાસ અને શ્રીલંકા સરહદ પર દરિયાઈ જહાજો અને વિમાનોને તહેનાત કરી દીધાં છે.
પોલીસના એક ટોચના સૂત્રએ જણાવ્યું કે આ પ્રકારના અલર્ટ સામાન્ય છે, પરંતુ આ વખતે અમારી પાસે સંખ્યાને લઈને ખાસ સૂચના છે. આવી કોઈ પણ શંકાસ્પદ બોટ દેખાવાની સ્થિતિમાં અમને તટીય પોલીસ-સ્ટેશન અને જિલ્લા પોલીસ પ્રમુખોને સાવધાન રહેવા માટે કહેવાયું છે. તટીય પોલીસ વિભાગે કહ્યું કે એ ૨૩ મેથી જ અલર્ટ પર છે. આ દિવસે જ તેમને શ્રીલંકાથી સૂચના મળી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો : PM મોદી 30મેના રોજ લેશે શપથ, રાષ્ટ્રપતિ ભવનની જાહેરાત
તટીય વિભાગનાં સૂત્રોએ એની પુષ્ટિ કરતાં કહ્યું કે શ્રીલંકામાં હુમલાની ઘટના બાદથી જ અમે લોકો સાવધાન છીએ. અમે માછલી પકડનારી બોટના માલિકો અને દરિયામાં જતા અન્ય લોકોને કોઈ પણ શંકાસ્પદ હરકત માટે સાવધાન રહેવા કહ્યું છે. શ્રીલંકામાં ઈસ્ટરના અવસરે થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બ-બ્લાસ્ટ બાદથી જ કેરળ હાઈ અલર્ટ પર છે.