લખનઉની હોટેલમાંથી લોહીવાળાં ભગવાં વસ્ત્રો અને બૅગ મળ્યાં
ઉતર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ રવિવારે હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારીના પરિવારને મળ્યા હતા. શુક્રવારે લખનઉમાં બે હુમલાખોરોએ કમલેશની હત્યા કરી હતી. મુખ્ય પ્રધાને કમલેશના પરિવારને હત્યારાની ઝડપથી ધરપકડ થશે એવું આશ્વાસન પણ આપ્યું છે. બીજી તરફ પોલીસને સવારે લખનઉસ્થિત ખાલસા હોટેલમાંથી હુમલાખોરોનાં ભગવાં વસ્ત્રો અને એક બૅગ પણ મળી છે. હુમલાખોરો સુરતથી આવીને આ હોટેલમાં રોકાયા હતા. પોલીસને તેમનાં ઓળખપત્રો પણ મળ્યાં છે.
ઉત્તર પ્રદેશ પોલીસે હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારી હત્યા કેસમાં શનિવારે એટીએસે કાર્યવાહી કરતાં સુરતના મૌલાના સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ વિશે યુપીના ડીજીપી ઓમપ્રકાશ સિંહે કહ્યું કે કમલેશની હત્યાનું કનેક્શન ગુજરાત સાથે જોડાયેલું છે. ગુજરાત એટીએસે આરોપીઓને યુપી પોલીસને સોંપ્યા છે. હવે તેમને લખનઉ લાવવામાં આવશે. કમલેશની માતાએ દાવો કર્યો છે કે ગામમાં મંદિરને લઈને થયેલા વિવાદમાં સ્થાનિક બીજેપી નેતાએ તેમના પુત્રની હત્યા કરી છે. હિન્દુ મહાસભાના નેતા રહેલા કમલેશની શુક્રવારે હત્યા કરવામાં આવી હતી.