મુખ્ય પ્રધાન કમલનાથે ક્યારેય અમને 15 મિનિટ સુધી સાંભળ્યા નથીઃ ધારાસભ્યો
કમલનાથ
મધ્ય પ્રદેશમાં રાજકીય સંકટ વચ્ચે કૉન્ગ્રેસના બળવાખોર ધારાસભ્યોએ મંગળવારે બૅન્ગલોરમાં એક પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી. ધારાશાસ્ત્રી ગોવિંદસિંહ રાજપૂતે કહ્યું હતું કે મુખ્ય પ્રધાન કમલનાથે ક્યારેય પણ ૧૫ મિનિટ સુધી અમારું સાંભળ્યું નહીં, તો પછી કોની સામે અમારા ક્ષેત્રના વિકાસ વિશે વાત કરવી જોઈએ. બળવાખોર ધારાસભ્ય ઇમરાતી દેવીએ કહ્યું કે જ્યોતિરાદિત્ય સિંધિયા અમારા નેતા છે. તેમણે અમને ઘણું શીખવાડ્યું છે. ભલે કૂવામાં કૂદવું પડે, તો પણ અમે તેમની સાથે રહીશું.
પ્રેસ કૉન્ફરન્સમાં કૉન્ગ્રેસના બળવાખોર ધારાસભ્યોએ જણાવ્યું કે કમલનાથે જણાવ્યું કે જે પણ આદિવાસી યુવતીનાં લગ્ન થશે તો તેને ૫૧ હજાર રૂપિયા આપવામાં આવશે, પરંતુ તેમણે એવું કર્યું નથી. એક બળવાખોર ધારાસભ્યએ જણાવ્યું કે અમે તમામ લોકો રાહુલ ગાંધી પાસે ગયા હતા. તેમને જણાવ્યું કે અમારી સાથે અન્યાય થયો છે. રાહુલ ગાંધીએ અમને ન્યાય આપવાનો ભરોસો આપ્યો હતો, પરંતુ ન્યાય મળી શક્યો નહીં. જ્યારે બીજેપીમાં સામેલ થઈ ચૂકેલા બિસાહુ લાલે જણાવ્યું કે જ્યારે અમે રાહુલ ગાંધીને મળ્યા તો તેમણે મને જણાવ્યું કે તમારી સાથે અન્યાય થયો છે. જ્યારે બળવાખોર ધારાસભ્યોને પૂછવામાં આવ્યું કે તેઓ પેટા-ચૂંટણી માટે તૈયાર છો તો તમામને જણાવ્યું કે તેઓ કોઈ પણ પ્રકારની ચૂંટણી માટે તૈયાર છે.