કાબાના બૅકગ્રાઉન્ડ સાથે સેલ્ફી લેવાય કે નહીં? મૌલવીઓ ને હજયાત્રીઓ વચ્ચે જોરદાર વિવાદ
સેલ્ફીનો ક્રેઝ હવે હજ સુધી પહોંચ્યો છે અને મુસ્લિમ યાત્રાળુઓ કાબા અથવા તો અન્ય પવિત્ર સ્થળોના બૅકગ્રાઉન્ડમાં પોતાની તસવીરો યાત્રાની સ્મૃતિ જાળવવાના આશય સાથે ઝડપી રહ્યા છે, પરંતુ આ કૃત્યને કેટલાક વિદ્વાનોએ વખોડી કાઢ્યું છે, જ્યારે કેટલાક એવું માને છે કે આવી સેલ્ફી ક્લિક કરવામાં કંઈ ખોટું નથી.
ભારતીય કૉન્સલ જનરલ બી. એસ. મુબારકે કહ્યું હતું કે અનેક હજયાત્રીઓ સેલ્ફી ઝડપવા માટે અને તેને વૉટ્સઍપ તથા ફેસબુક મારફતે સમગ્ર ભારતમાં મોકલવા માટે સેલફોનનો ઉપયોગ કરી રહ્યા છે.
આમ કરવું યોગ્ય ગણાય કે નહીં, એવા સવાલના જવાબમાં મુબારકે કહ્યું હતું કે સાચા-ખોટાના નિર્ણય તો હજયાત્રીઓએ કરવાનો છે. જીવનની ઉમદા સ્મૃતિને સાચવી રાખવાનું બધાને ગમતું હોય છે.
આ વર્ષની હજયાત્રામાં ૧,૩૬,૦૨૦ ભારતીયોએ ભાગ લીધો હતો. હજયાત્રા એ ઇસ્લામના પાંચ સ્તંભ પૈકીનો એક છે અને દરેક આર્થિક તથા શારીરિક રીતે સક્ષમ હોય તેવા દરેક મુસ્લિમે તેના જીવનકાળમાં કમસે કમ એક વખત તો આ યાત્રા કરવી જ જોઈએ એવું માનવામાં આવે છે.
હજ-સેલ્ફીના મુદ્દે આ વર્ષે વિદ્વાનો તથા યાત્રાળુઓમાં જોરદાર વિવાદ સર્જાયો છે. બોસ્નિયાના એક હજયાત્રી મુહમ્મદ મિઝિકે હજ-સેલ્ફીને તદ્દન અસ્વીકાર્ય ગણાવતાં કહ્યું હતું કે આ પ્રકારનાં કૃત્યોથી આધ્યાત્મિક વાતાવરણ બગડે છે અને બીજા હજયાત્રીઓને તકલીફ થાય છે. તેથી હજ-સેલ્ફી ઝડપવી જોઈએ નહીં.
મિઝિકના વિચારને સમર્થન આપતાં ભારતીય હજયાત્રી વી. એમ. ઇબ્રાહિમે કહ્યું હતું કે આ પ્રકારનાં સ્થળોની વિશિષ્ટ પવિત્રતા અને આદર હોય છે. સેલ્ફી ક્લિક કરવાના અને દેખાડા ખાતર તેને સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર અપલોડ કરવાના કૃત્યને કારણે યાત્રાનું મૂલ્ય ઘટે છે. વળી આમ કરવું એ યાત્રાના મૂળભૂત હેતુની છેક વિરુદ્ધનું છે.
હજ-સેલ્ફીની ઘેલછાથી કેટલાક યાત્રીઓ તો એટલા રોષે ભરાયા છે કે તેમણે પવિત્ર સ્થળોમાં કૅમેરા કે કૅમેરાવાળા સેલફોન્સ લઈ જવા પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે.
પાકિસ્તાનના હજયાત્રી મન્સૂર જાફરે કહ્યું હતું કે ‘બન્ને પવિત્ર મસ્જિદોમાં સ્માર્ટ ફોન્સ અને કૅમેરા લઈ જવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. સેલ્ફી ઝડપતા લોકોને કારણે અન્ય યાત્રીઓએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને પવિત્ર સ્થળો જાણે કે પ્રવાસનાં સ્થળો બની ગયાં હોય એવું લાગે છે.’