જોધપુર જેલમાં આસારામની તબિયત લથડી, હૉસ્પિટલમાં લઈ જવાયા
આસારામ બાપુ
સગીરાની જાતીય સતામણી કરવાના કેસમાં જોધપુર જેલમાં આજીવન કેદની સજા ગાળી રહેલા આસારામની મંગળવારે રાત્રે તબિયત લથડતાં જેલ તંત્રમાં અફરાતફરી મચી ગઈ હતી. આસારામની જોધપુરની મધ્યસ્થ જેલમાં તબિયત લથડતાં તેમને શહેરની મહાત્મા ગાંધી હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ ગઈ રાતે ૧૨ વાગ્યે આસારામને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હોવાની તેમણે ફરિયાદ કરી હતી. જેલ વહીવટી તંત્રએ કડક સુરક્ષાવ્યવસ્થા સાથે તેમને હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા. પોલીસ-વૅનમાં જ તેમને હૉસ્પિટલ લઈ જવાયા હતા. આસારામના સમર્થકોને આ વિશે જાણ થતાં હૉસ્પિટલ બહાર મોટાપાયે ટોળાં એકત્ર થઈ ગયાં હતાં.