દિલ્હી પોલીસે જેએનયુ હિંસાના હુમલાખોરોના ફોટો જાહેર કર્યા
આ રહ્યા શંકાસ્પદો : ગઈ કાલે નવી દિલ્હીમાં યોજાયેલી પત્રકાર પરિષદ દરમ્યાન ડીસીપી (ક્રાઇમ) જોય ટિરકેએ જેએનયુ હિંસાના શંકાસ્પદોના ફોટા જાહેર કર્યા હતાં જે દિલ્હી પોલીસના પીઆરઓ એમ.એસ રંધાવાએ પત્રકારો સમક્ષ પ્રસ્તુત કર્યા હતાં. પોલીસે જણાવ્યા મુજબ પોલીસ હિંસામાં સામેલ લોકોની ઓળખ કરવામાં આવી હતી, જે મુજબ પાંચમી જાન્યુઆરીએ પેરિયાર હોસ્ટેલમાં કરવામાં આવેલી હિંસામાં જેએનયુએસયુના પ્રમુખ આઈશી ઘોષ સહિત મોટા ભાગના લોકો ડાબેરી વિદ્યાર્થી સંઘઠનના સભ્યો સામેલ હતાં. (તસવીરો : પી.ટી.આઈ.)
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં રવિવારે રાત્રે થયેલી હિંસાના મામલે દિલ્હી પોલીસે શુક્રવારે હુમલાખોરોની તસવીર જાહેર કરી છે. તેમાં વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ આઈશી ઘોષ સહિત ૯ હુમલાખોરોનાં નામ છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પ્રેસ કૉન્ફરન્સ કરીને જણાવ્યું કે જે વિદ્યાર્થીઓની ઓળખ થઈ છે તેમાં ચુનચુન કુમાર, પંકજ મિશ્રા, યોગેન્દ્ર ભારદ્વાજ, પ્રિયા રંજન, વિકાસ પટેલ, ડોલન, આઇશી ઘોષ સહિતનાં નામ છે.
ADVERTISEMENT
જેએનયુએસયુની પ્રમુખ આઈશી ઘોષે ગઈ કાલે નવી દિલ્હીમાં માનવ સંસાધન વિકાસ ખાતાના સેક્રેટરી અમિત ખરે સાથેની મીટિંગ બાદ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પર હુમલો કરનારા બુકાનીધારી હુમલાખોરોની ઓળખ દિલ્હી પોલીસે કરી લીધી છે. દિલ્હી પોલીસે કેટલાક બુકાનીધારી હુમલાખોરોની ઓળખ કરી છે. દિલ્હી પોલીસ આ મામલે પ્રેસ કૉન્ફરન્સ કરી રહી છે અને આગળની તપાસ હાથ ધરી રહી છે.
દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જોય ટિર્કીએ કહ્યું કે જેએનયુમાં હિંસા મામલાની તપાસને લઈને ઘણા પ્રકારની ખોટી જાણકારી ફેલાવવામાં આવી રહી છે. એક જાન્યુઆરીથી લઈને પાંચ જાન્યુઆરી સુધી રજિસ્ટ્રેશન થવાનું હતું. જોકે વિદ્યાર્થી સંગઠનોને રજિસ્ટ્રેશન કરવાથી રોકવામાં આવ્યા. રજિસ્ટ્રેશન કરનાર વિદ્યાર્થીઓને ધમકાવવામાં આવી રહ્યા હતા.ત્યાર બાદ વિવાદ સતત વધતો રહ્યો અને પાંચ જાન્યુઆરીએ પેરિયાર અને સાબરમતી હૉસ્ટેલની કેટલીક રૂમ પર હુમલો કરવામાં આવ્યો. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જૉય ટિર્કીએ કહ્યું કે જેએનયુમાં હિંસા કરવા માટે વૉટ્સઍપ-ગ્રુપ પણ બનાવવામાં આવ્યાં. બુકાનીધારીઓ જાણતા હતા કે તેમને કઈ-કઈ રૂમમાં જવાનું છે. હિંસાનાં ફુટેજ મળ્યાં નથી, પરંતુ અમે વાઇરલ વિડિયો દ્વારા આરોપીઓની ઓળખ કરી છે. એને લઈને અમે ૩૦-૩૨ સાક્ષીઓ સાથે પણ વાતચીત કરી છે.