ફીમાં વધારો થતાં જેએનયુના વિદ્યાર્થીઓ રસ્તા પર ઊતર્યા, વીસીને ચોર કહ્યા
JNUના વિદ્યાર્થીઓએ સોમવારે નવી દિલ્હીમાં હૉસ્ટેલ મૅન્યુઅલના ડ્રાફ્ટના વિરોધમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું જેમાં પોલીસે તેમને રોકતાં ઘર્ષણ થયું.
(જી.એન.એસ.) જેએનયુના વિદ્યાર્થીઓ દ્વારા ગઈ કાલે ફીવધારાને લઈને વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની માગણી છે કે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા ફીવધારા સહિત અનેક મહત્ત્વની જાહેરાતોને પરત ખેંચવામાં આવે. યુનિવર્સિટીનો દિક્ષાંત સમારોહ પણ યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ વૈન્કૈયા નાયડુ અને માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરિયાલ પણ ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન વિદ્યાર્થીઓએ હૉસ્ટેલ ફીના વધારા અને ડ્રેસકોડના મુદ્દે કૅમ્પસમાં વિરોધ-પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ હાથોમાં પોસ્ટર લઈને ‘દિલ્હી પોલીસ ગો બૅક’ના નારા લગાવ્યા હતા. કુલપતિ એમ જગદીશ કુમારને ‘ચોર’ કહી રહ્યા હતા.
વિદ્યાર્થીઓએ 'VC ચોર છે'ના નારા લગાવ્યા
વિદ્યાર્થીઓએ વાઇસ ચાન્સેલર વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓના પ્રદર્શનને રોકવા માટે મોટી સંખ્યામાં સીઆરપીએફ તથા દિલ્હી પોલીસના જવાન તહેનાત છે. પ્રદર્શન કરી રહેલા ઘણા વિદ્યાર્થીઓને પકડીને બસમાં બેસાડી દેવામાં આવ્યા છે. પ્રદર્શનને ઉગ્ર બનતું જોઈને પોલીસે વૉટર કેનનનો પણ ઉપયોગ કર્યો છે.
આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ
જેએનયુના વિદ્યાર્થીઓનું કહેવું છે કે જ્યારે તેમની ફીમાં ઘટાડાની માગણીને સ્વીકાર કરવામાં આવી રહી નથી તો તેમનું દિક્ષાંત સમારોહમાં જવું પણ મંજૂર નથી. તેમનો આરોપ છે કે હૉસ્ટેલ ફીવધારાનો મામલો યુનિવર્સિટીમાં ઘણો આગળ વધી ચૂક્યો છે અને કોઈ સમાધાન મળી રહ્યું નથી. વિદ્યાર્થી સંઘની માગણી છે કે આ ફીવધારાના નિર્ણયને પાછો ખેંચવામાં આવે. આ ઘટનાને લઈને વિદ્યાર્થી સંઘે વિદ્યાર્થીઓને અપીલ કરતાં કહ્યું હતું, વધારેમાં વધારે વિદ્યાર્થીઓ જોડાય અને મારચમાં સામેલ થવા જણાવ્યું હતું. વિદ્યાર્થી સંઘનું કહેવું છે કે સસ્તું શિક્ષણ મળી રહ્યું નથી તો દિક્ષાંત સમારોહનું આયોજન કરવાની શું જરૂર છે?