ભાનુશાળી હત્યા કેસ : SITને મળી મોટી સફળતા, જયંતી (ડુમાર) ઠક્કરની ધરપકડ
File Photo
ભુજમાં બહુ ચર્ચીત ભાનુશાળી હત્યા કેસમાં ગુરૂવારે મોડી સાંજે નવો વળાંક સામે આવ્યો છે. જેમાં આ કેસમાં તપાસ કરી રહેલ SIT ને મોટી સફળતા મળી છે. SIT એ જયંતી ભાનુશાળી હત્યા કેસમાં જયંતી ઠક્કર નામના વ્યક્તીની ધરપકડ કર્યાનું સામે આવ્યું છે.
પ્રાથમીક તપાસમાં મળી આ માહિતી
જયંતી ભાનુશાળી હત્યા કેસમાં જયંતી ઠક્કર અને છબીલ પટેલ સાથે મળીને ભાનુશાળીને રાજકારણમાંથી હટાવવા ઇચ્છતા હતા. જેને પગલે તેમણે ભાનુશાળીનો હત્યાનો પ્લાન કર્યો હોવાનું સામે આવ્યું છે. જોકે હાલ SIT ના અધિકારીઓ જયંતી ઠક્કર પાસેથી માહિતી મેળવી રહ્યા છે. સુત્રો દ્રારા મળી રહેલ માહિતી પ્રમાણે જયંતી ભાનુશાળીએ દિલ્હીમાં છબીલ પટેલ સામે દુષ્કર્મની ફરીયાદ કરી હતી. જેથી બંનેએ તેની હત્યાનો પ્લાન ઘડ્યો હતો. જયંતી ઠક્કરના વિશાલ કાંબલે, મનીષા, સુરજીત ભાઉ અને નિખિલ થોરાટ સાથે સંપર્ક હોવાના પુરાવા પણ પોલીસને મળ્યા છે.
14 માર્ચના રોજ અમદાવાદ એરપોર્ટ પર જ પોલીસે છબીલની કરી હતી અટકાયત
14 માર્ચના રોજ વહેલી સવારે છબીલ પટેલ દુબઈથી ફ્લાઈટમાં આવ્યો હતો. અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવતાં જ ત્યાં હાજર પોલીસે તેની અટકાયત કરી હતી. રાણીપ સ્થિત રેલવે એસપી ઓફિસ ખાતે છબીલની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જયંતી ભાનુશાળીની હત્યા બાદ વિદેશ ભાગી ગયેલ છબીલ પટેલ તેના મિત્રો અને સંબંધીઓ સાથે સંપર્કમાં રહેતો હતો તેની જાણ પોલીસને હતી. પોલીસની વોચ વધતા ગોવાના ગેસ્ટ હાઉસમાં છુપાયેલો છબીલ પટેલનો પુત્ર સિધ્ધાર્થ પટેલ પણ સામેથી પોલીસને શરણે થયો હતો.