કોરોનાની કૉલર ટ્યુન સાંભળીને કાન પકી ગયા, હવે બંધ કરો!
પ્રતિકાત્મક તસ્વીર
કોરોનાની કૉલર ટ્યુન સાંભળીને કાન પકી ગયા છે. હવે ધ્વની પ્રદૂષણ વધી ગયું છે, તેથી આને બંધ કરવી જોઈએ, એવી વિનંતી રાજસ્થાનના કૉંગ્રેસ વિધાનસભ્ય ભરત સિંહ કુંદનપુરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર દ્વારા કરી છે.
રાજસ્થાનના કોટા જીલ્લાના સાંગોદ વિધાનસભા ક્ષેત્રના વિધાનસભ્ય ભરત સિંહ કુંદનપુર તેમના પત્રોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. તેમની ગણતરી કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાં થાય છે. કૉંગ્રેસના પાછલા કાર્યકાળમાં તે કેબિનેટ પ્રધાન પણ હતા. કોટા જીલ્લામાં ભ્રષ્ટાચારની ફરિયાદોમાં તે પ્રધાનોને પણ છોડતા નથી. મુખ્યપ્રધાનને તે ઓપન લેટર લખે છે.
ADVERTISEMENT
કોરોનાના લીધે લૉકડાઉન થતા તે વખતે પણ તેમણે નિવેદન આપ્યું હતું કે દારૂની દુકાનો બંધ કરવાનો કોઈ મતલબ નથી. હવે તેમણે કોરોનાની કૉલર ટ્યુન માટે પોતાનો વિરોધ દર્શાવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં તેમણે કહ્યું કે, કોરોના કૉલર ટ્યુનથી કાન પકી ગયા છે. મોબાઈલમાં છેલ્લા પાંચ મહિનાથી વાગતી આ કૉલર ટ્યુન કોઈ મેસેજ નહીં પણ ધ્વનિ પ્રદૂષણ ફેલાવતુ હોય એમ લાગે છે. કોરોના એવી બિમારી છે જેનો અંત દેખાઈ રહ્યો નથી. આ એક વૈશ્વિક મહામારી છે, જેનાથી દેશનો બચ્ચો-બચ્ચો અવગત છે. ગરીબ મજૂરો પણ આ બિમારી વિષે સમજી ગયા છે કારણ કે તેમના ઉપર જ સૌથી વધુ પ્રતિકૂળ અસર પડી છે. આથી સમય આવી ગયો છે કે હવે આ કૉલર ટ્યુનને બંધ કરવામાં આવે. મારી સલાહ છે કે દેશના નાગરિકોમાં સર્વે કરીને આ બાબતે અભિપ્રાય મગાવવા જોઈએ. દોઢ મહિના પહેલા કેન્દ્રિય સૂચના અને પ્રસારણ પ્રધાનને પણ પત્ર લખ્યો હતો, પરંતુ તેમણે મારા પત્ર ઉપર ધ્યાન આપ્યુ નથી.