Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પર્યુષણ મહાપર્વનાં કર્તવ્યો તમે જાણો છો?

પર્યુષણ મહાપર્વનાં કર્તવ્યો તમે જાણો છો?

25 August, 2019 03:40 PM IST | મુંબઈ
જૈન દર્શન - ચીમનલાલ કલાધાર

પર્યુષણ મહાપર્વનાં કર્તવ્યો તમે જાણો છો?

પર્યુષણ મહાપર્વનાં કર્તવ્યો તમે જાણો છો?




જૈન દર્શન - ચીમનલાલ કલાધાર



પર્યુષણ એ કર્મની નિર્જરા કરનારું અમોઘ પર્વ છે. આપણા શાસ્ત્રકારોએ તેને કષાયોથી મુક્તિ આપવાનું અદ્ભૂત પર્વ કહ્યું છે. આચાર્ય લક્ષ્મીસુરિમહારાજાના મતે કર્મને મર્મ ભેદી શકે એવું કોઈ પર્વ હોય તો તે પર્યુષણ પર્વ છે. આપણા ધર્મશાસ્ત્રોમાં પર્યુષણ પર્વની આરાધના માટે પાંચ મુખ્ય કર્તવ્યો કહ્યાં છે. તે છે : (૧) અમારિ પ્રર્વતન, (૨) સાધર્મિક વાત્સલ્ય, (૩) અઠ્ઠમ તપ, (૪) પરસ્પર ક્ષમાપના અને (૫) ચૈત્ય પરિપાટી. આ મહાપર્વના પાંચેય કર્તવ્યોનું સંક્ષિપ્ત વર્ણન-વિવેચન નીચે મુજબ છે ઃ


અમારિ પ્રવર્તન : અમારિ એટલે અહિંસા. પ્રવર્તન એટલે પાલન. આ મહાપર્વના પ્રથમ કર્તવ્યમાં અમારિ પ્રવર્તન પર ખાસ ભાર મુકાયો છે. પાંચ ઇન્દ્રિયો એટલે કે સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોતેન્દ્રિય. ત્રણ બળ એટલે કે મનોબળ, વચનબળ, કાયબળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય. આ દસ પ્રાણ શ્રી અરિહંત પરમાત્માએ કહેલા છે. તેનો વિયોગ કરવો, નાશ કરવો તેનું નામ હિંસા છે. હિંસામાંથી વિરમવાનો અર્થ એ છે કે કોઈ પણ પ્રાણીને જાનથી મારવું નહીં, તેના અંગોપાંગ છેદવા નહીં કે તેને પીડા ઊપજાવવી નહીં. અહીં પીડા શારીરિક અને માનસિક એ બન્ને પ્રકારની પીડા સમજવાની છે. શસ્ત્ર વગેરેનો પ્રહાર કરતાં પ્રાણીને શારીરિક પીડા ઊપજે છે અને કઠોર વચન-વ્યવહાર કરતા તેમ જ તેના હિતને હાનિ પહોંચાડતા તેને માનસિક પીડા ઊપજે છે. જીવહિંસા એ આત્મહિંસા છે અને જીવદયા એ આત્મદયા છે. તેથી આત્માનું ભલુ ઇચ્છનારે સર્વ પ્રકારની જીવહિંસાનો ત્યાગ કરવો જોઈએ.

વ્યક્તિગત અને સામુદાયિક સુખ-શાંતિ માટે અહિંસા એક મહત્ત્વની વસ્તુ છે. જગતમાં આજે હિંસાનું તાંડવ ભયંકર વેગથી ચાલી રહ્યું છે. ભારત દેશ કે જ્યાં અહિંસાની પ્રથમ ઉદ્ઘોષણા થઈ છે, તે રાષ્ટ્ર પણ આજે હિંસાના માર્ગ તરફ ઘસડાઈ રહ્યું છે. પ્રજાના કલ્યાણ‌ના નામે કે અર્થોપાદનના નામે વિશાળ કતલખાનાઓમાં લાખો મૂગાં, અબોલ પશુઓ કપાઈ રહ્યાં છે. મત્સ્ય ઉદ્યોગને ખીલવવાની રાજકીય નેતાઓને ચળ ઊપડી છે. દેડકાં, વાનરો વગેરેને વિદેશમાં નિકાસ કરવાની નાપાક પ્રવૃત્તિ પણ વધતી જ ચાલી છે. ત્યારે પ્રત્યેક જૈનોએ અમારિ પ્રર્વતનને જીવન ધ્યેય બનાવવું જોઈએ. અહિંસાનું પાલન જેમ પોતાના જીવનમાં કરવાનું છે તેમ અન્ય જીવો માટે પણ કરાવવાનો પુરુષાર્થ કરવાનો છે.


(૨) સાધર્મિક વાત્સલ્ય : જૈન ધર્મમાં સમાન ધર્મીને સાધર્મિક તરીકે ઓળખવામાં આવે છે. સાધર્મિક ભક્તિ એ પુણ્યનું મહાકાર્ય છે. આપણા શાસ્ત્રકારો કહે છે કે જે પુણ્યાત્મા ઉત્તમ ભાવથી સાધર્મિકોની ભક્તિ કરે છે તે પ્રાય: તીર્થંકર કર્મને બાંધે છે. ‘મારાથી એ મહાન’ છે એવો ઉદાત્ત ભાવ રાખી સાધર્મિકોની ભક્તિ કરનાર જીવો પુણ્યકર્મના મહાભાગી બને છે. આજના અતિ કપરા કાળમાં અને મોંઘવારીના વિષચક્રમાં આપણા સાધર્મિકોની હાલત અત્યંત કફોડી છે. આજે આપણા સાધર્મિકોના અસંખ્ય ઘરો એવાં છે કે જ્યાં માત્ર એક ટાઇમ જ ચૂલો સળગે છે! આવા સાધર્મિકોની વ્યથા અને વેદનાનો પાર નથી. પરમાત્માએ તમને સુખ, સમૃદ્ધિ આપી છે ત્યારે દાનનો પ્રવાહ થોડો સાધર્મિક ભક્તિ તરફ વાળવાની આવશ્યકતા છે. આપણો સાધર્મિક સુખી તો જૈન સમાજ વધુ સુદૃઢ બનશે. આ વિશ્વમાં દુવા જેવી અસરકારક કોઈ દવા નથી. આપણા સાધર્મિકોની આંતરડી ઠરશે તો તેનું મંગલમય ફળ તમને મળવાનું જ છે.

સાધર્મિક ભક્તિ કરનારે એક વાતનો ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે કે સાધર્મિકોની ભક્તિ કરનાર તેના પર કોઈ ઉપકાર હરગીજ કરતો નથી. ઊલટું એ સાધર્મિકો પોતાની ભક્તિ સ્વીકારીને પોતાના પર અનહદ ઉપકાર કરે છે. આજે તો જે રીતે સાધર્મિક પાસે અરજી ફોર્મ ભરાવીને, વકીલની જેમ તેની ઉલટતપાસ લઈને, તેમનું અપમાન કરીને તેમને અસત્ય બોલવાની ફરજ પાડવામાં આવે છે તે તદન અનુચિત કાર્ય છે. એનાથી આવા કહેવાતા બની બેઠેલા અજ્ઞાન દાતાઓ કદાચ મગરૂરી અનુભવતા હોય પરંતુ તેમને ખ્યાલ નથી કે આ રીતની સાધર્મિક ભક્તિ સાધર્મિકોની ઘોર આશાતના રૂપ છે. તેનાથી દાન કરનારા દાતાઓના દાનની યથાર્થતા સિદ્ધ થઈ શકે નહીં. સાધર્મિક ભક્તિનું એટલું ઊંચું મૂલ્ય આપણા જ્ઞાની ભગવંતોએ આંક્યું છે કે એક ત્રાજવામાં બધા ધર્મો મુકાય અને બીજામાં માત્ર સાધર્મિક ભક્તિ મુકાય તો તે બંને ત્રાજવા સમાન થાય છે.

આ પણ વાંચો : ફરીથી શ્યામને તેડાવ મીરા

(૩) અઠ્ઠમ તપ : જૈન ધર્મમાં તપશ્ચર્યાનો અચિંત્ય મહિમા છે. જૈન શાસ્ત્રકારોએ કહ્યું છે કે તપથી શરીરની શુદ્ધિ થાય છે, ઇન્દ્રિયો શાંત થાય છે, રિદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત થાય છે, ચિત્ત પ્રસન્નતા અનુભવે છે, સદ્દવિચારો સ્ફૂરે છે, કર્મની નિર્જરા થાય છે અને જીવ મોક્ષગતિ સુધી પહોંચી શકે છે એ કંઈ ઓછી ઉપલબ્ધિ છે? આપણા શાસ્ત્રકારોનું ફરમાન છે કે પક્ખી અંગે એક ઉપવાસ, ચઉમાસી અંગે છઠ્ઠ (બે ઉપવાસ) અન સંવત્સરિ પર્વ અંગે અઠ્ઠમ તપ કરવો આવશ્યક છે. કોઈ કારણસર એ અઠ્ઠમ તપ ન થઈ શકે તો છ આયંબિલ અથવા નવ નિવ્વી, અથવા બાર એકાસણા, અથવા ૨૪ બિયાસણા અથવા છ હજાર શ્લોક પ્રમાણ સ્વાધ્યાય એટલે સાઠ નવકારવાળી ગણીને એ તપ પૂરો કરી આપવો જોઈએ. પર્યુષણ પર્વની આરાધના કરતા લોકો પોતાની શક્તિ અનુસાર તપશ્ચર્યા અવશ્ય કરે છે. નાનાં બા‍ળકોથી માંડીને વૃદ્ધ ઉંમરના લોકો પણ આ પર્વને આરાધી નાનું મોટું તપ કર્યા વિના રહેતા નથી. આપણા ધર્મશાસ્ત્રોએ સ્પષ્ટ જણાવ્યું છે કે વાર્ષિક પાપ આલોચના માટે સકળ સંઘે અઠ્ઠમ તપ કરવો જોઈએ. મહાપર્વને અનુલક્ષીને આ એક ફરજિયાત તપ છે. જે આ તપ કરતો નથી, તે આ મહાપર્વની આરાધનાથી વંચિત રહી જાય છે. જે વ્યક્તિ આ તપ ન કરી શકે તે વ્યક્તિ ઉપર દર્શાવ્યા પ્રમાણે એકાસણા, બિયાસણા, આયંબિલ, નિવ્વી, સ્વાધ્યાય અને નવકારવાળીનો સહારો લે તો તેની આ મહાપર્વની ઉજવણી સાર્થક થાય છે.

Whatsapp-channel Whatsapp-channel

25 August, 2019 03:40 PM IST | મુંબઈ | જૈન દર્શન - ચીમનલાલ કલાધાર

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK