છંછેડશો તો 20 કરોડ પાકિસ્તાની ભારતને જવાબ આપશે : ઇમરાન
ઇમરાન ખાન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પાકિસ્તાનને યુદ્ધમાં ૧૦ દિવસમાં ધૂળ ચટાડવાના નિવેદન બાદથી પાકિસ્તાનમાં ખલબલી મચી ગઈ છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનનું ક્યાંયથી કંઈ ન ઊપજતાં હવે તેમણે નરેન્દ્ર મોદીને ચેતવણી આપી કે મોદી એ જાણી લે કે પાકિસ્તાન પર હુમલો કરવો એ તેમની છેલ્લી ભૂલ હશે.
કાશ્મીરને લઈને પાકિસ્તાનને તેના મિત્રદેશો પણ કોઈ સાથ આપવા તૈયાર નથી ત્યારે ઇમરાન ખાને ફરી એક વાર ભારતને ધમકી આપતાં કહ્યું છે કે જો નવી દિલ્હીએ કોઈ પગલું ભર્યું તો અમારી સેના ભારતને આકરો પાઠ ભણાવશે. ઇમરાન ખાને રૅલીને સંબોધિત કરતાં કહ્યું કે ‘નરેન્દ્ર મોદીસાહેબ, આ પાકિસ્તાનની અંદર એ લોકો વસે છે જેમનો ધર્મ કહે છે કે એક મનુષ્યની હત્યા તમામ માનવજાતની હત્યા.
ADVERTISEMENT
એક બાજુ તો અમારા અલ્લાહ કુરાનમાં આ હુકમ આપે છે કે મનુષ્યના જીવનની આટલી કદર છે અને બીજી તરફ અલ્લાહ અમને હુકમ કરે છે કે પોતાની આઝાદી માટે પોતાનો જીવ જો તમે કુરબાન કરો છો તો પયગંબર બાદ શહીદને બીજા નંબર પર સૌથી મોટો દરજ્જો અલ્લાહ આપે છે. કહેવાનો અર્થ એ છે કે આ કોમ પર જો તમે હુમલો કર્યો તો યાદ રાખજો કે અહીં ૨૦ કરોડ જે પાકિસ્તાનીઓ રહે છે તેઓ બાળકો સહિત છેલ્લા શ્વાસ સુધી લડવાના છે.’