ઢોબળેની બદલી એક પનિશમેન્ટ?
ADVERTISEMENT
મુંબઈમાં આખી રાત ચાલનારાં પબ અને રેસ્ટોરાંમાં હૉકી-સ્ટિક અને કૅમેરા સાથે રેઇડ પાડનારા પોલીસના સમાજસેવા શાખાના પ્રખ્યાત સહાયક આયુક્ત એસીપી વસંત ઢોબળેની આખરે બદલી કરવામાં આવી છે. હવે તેઓ વાકોલા વિસ્તારમાં એસીપી તરીકે કામ કરશે જેમાં તેમનું કાર્યક્ષેત્ર ફક્ત બે જ પોલીસ-સ્ટેશન સુધી મર્યાદિત રાખવામાં આવ્યું છે.
મુંબઈમાં વિવિધ ઠેકાણે મધરાતે પરવાનગી વિના ચાલનારાં પબ અને રેસ્ટોરાં પર રેઇડ પાડવાની ઝુંબેશ વસંત ઢોબળેએ હાથ ધરી હતી; જેમાં તેઓ હૉકી-સ્ટિક હાથમાં લઈ પબ, બાર, હુક્કા-પાર્લર જેવી જગ્યાએ રેઇડ પાડતા હતા ત્યારથી તેઓ મિડિયા અને આખા શહેરમાં ફેમસ થઈ ગયા હતા. જોકે ભૂતપૂર્વ પોલીસ-કમિશનર અરૂપ પટનાઈકને પણ નાઇટ-લાઇફ ગમતી ન હોવાથી તેમણે પણ ઢોબળેને સમર્થન આપ્યું હતું, પણ ૧૧ ઑગસ્ટે આઝાદ મેદાનમાં થયેલાં તોફાનોને કારણે અરૂપ પટનાઈકની પણ બદલી કરવામાં આવી હતી. ત્યાર બાદ નવા પોલીસ-કમિશનર તરીકે સત્યપાલ સિંહની નિમણૂક કરવામાં આવી હતી. જોકે હાલમાં જ ચીફ મિનિસ્ટર પૃથ્વીરાજ ચવાણે નાઇટ-લાઇફને સમર્થન આપ્યું હતું. સિંગાપોરની નાઇટ-લાઇફ જેમાં આખી રાત લોકો પીવાનું, ખાવાનું અને ડાન્સ કરી શકે છે એવી જ રીતે આખી રાત મુંબઈના અમુક વિસ્તારોમાં રેસ્ટોરાં અને પબ ચાલુ રહે એ માટે પૃથ્વીરાજ ચવાણે ટૂરિઝમ કમિટી સાથે મીટિંગ પણ કરી હતી. હાલમાં વસંત ઢોબળે દ્વારા રેસ્ટોરાંમાં પાડવામાં આવેલી રેઇડમાં હ્યુમન ટ્રાફિકિંગ રૅકેટમાં પકડાયેલી બે યુવતીઓએ પણ ઢોબળે વિરુદ્ધ બૉમ્બે હાઈ કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ બે યુવતીઓએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે તેઓ શિક્ષિત અને સારા કુટુંબની છે અને તેમને પોલીસ તરફથી વળતર મળવું જોઈએ, પણ બૉમ્બે હાઈ કોર્ટે તેમની દલીલ ફગાવી દીધી હતી.
પોલીસ-કમિશનરે ડિપાર્ટમેન્ટમાં કર્યા મોટા ફેરફારો
મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર અરૂપ પટનાઈક દ્વારા ક્રાઇમ બ્રાન્ચમાંથી અલગ કરીને બનાવવામાં આવેલી સ્પેશ્યલ સ્ક્વૉડના સૌથી વિવાદાસ્પદ અધિકારી એસીપી વસંત ઢોબળેની બદલી કરવામાં આવી છે. અરૂપ પટનાઈકે તેમને સોશ્યલ સર્વિસ બ્રાન્ચના હેડ બનાવ્યા હતા તેમ જ તેમના ઉપરી અધિકારીની જગ્યાએ સીધા તેમને જ રર્પિોટ કરવાના સ્પેશ્યલ પાવર પણ આપ્યા હતા. પરિણામે પોલીસ-ડિપાર્ટમેન્ટમાં આને લીધે ઘણી નારાજગી પણ હતી.
મુંબઈના પોલીસ-કમિશનર ડૉ. સત્યપાલ સિંહે મોટો ફેરફાર કરતાં આ ઑફિસરોને આપવામાં આવેલી વિશેષ સત્તા પાછી ખેંચી લઈ બાર પર રેઇડ પાડવાને કારણે જાણીતા બનેલા વસંત ઢોબળેને વાકોલા તથા વિલે પાર્લે પોલીસ-સ્ટેશનના ઇન્ચાર્જ બનાવ્યા છે, જ્યારે એસીપી રાકેશ શર્માને લોકલ આમ્ર્સ યુનિટમાં ખસેડવામાં આવ્યા છે. રાકેશ શર્મા પર યલો ગેટ એરિયા પાસે એક શિપ પર રેઇડ પાડી જપ્ત કરવામાં આવેલા ૩૯,૦૦૦ લિટર ડીઝલ પૈકી ૩૦,૦૦૦ લિટર (અંદાજે ૨૦ લાખ રૂપિયાની કિંમતનું) ડીઝલ બારોબાર વેચી માર્યાનો કથિત આક્ષેપ હતો.
અરૂપ પટનાઈકના સમયમાં બનાવવામાં આવેલા સ્પેશ્યલ યુનિટને ફરી વાર ક્રાઇમ બ્રાન્ચની દેખરેખ હેઠળ કરવાના આદેશ પણ ડૉ. સત્યપાલ સિંહે આપ્યા છે. ઈસ્ટર્ન સબબ્ર્સના એક એસીપીએ કહ્યું હતું કે ભૂતપૂર્વ કમિશનરના કેટલાક નિર્ણયોને કારણે ઘણા સિનિયર અધિકારીઓ નારાજ હતા. વળી સત્યપાલ સિંહે અરૂપ પટનાઈક કરતાં વિરુદ્ધ તમામ મહિલા-કૉન્સ્ટેબલોને તોફાનીઓ દ્વારા કરવામાં આવેલી છેડતી બદલ પોતાના સંલગ્ïન ડિપાર્ટમેન્ટ દ્વારા પત્ર લખવા માટે પણ કહ્યું હતું.
એસીપી = અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ