રેલવે ટિકિટ બુકિંગમાં ગરબડ બદલ IRCTCને વળતર ચૂકવવાનો આદેશ
દિલ્હીના એક પ્રવાસીને કારણ વિના થયેલી હેરનાગતિ બદલ કન્ઝ્યુમર ર્કોટે ગઈ કાલે ઑનલાઇન રેલવે ટિકિટ બુકિંગ સેવા આપતી ઇન્ડિયન રેલવેઝ કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (આઇઆરસીટીસી)ને ૫૦૦૦ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. દિલ્હીના રાકેશકુમાર નામની વ્યક્તિએ ૨૦૧૦ની ૩૦ જાન્યુઆરીએ ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનમાં દિલ્હીથી મુંબઈ આવવા માટે આઇઆરસીટીસી મારફતે બે ટિકિટ બુક કરાવી હતી. ઑનલાઇન બુકિંગ વખતે વેઇટિંગ લિસ્ટનું સ્ટેટસ ૩૪ અને ૩૫ હતું. એ પછી આ બન્ને ટિકિટોનું સ્ટેટસ એક અને બે થયું હતું. જોકે પ્રવાસના દિવસે છેલ્લી ઘડીએ વેઇટિંગ લિસ્ટનું સ્ટેટ ૪૬ અને ૪૭ થઈ ગયું હતું.
ADVERTISEMENT
રાકેશકુમારે આ વિશે આઇઆરસીટીસીનો સંપર્ક કર્યો તો તેમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહીં. ટિકિટ કન્ફર્મ નહીં થતાં તેઓ મુંબઈનો પ્રવાસ કરી શક્યા ન હતા. બાદમાં રાકેશે આ બાબતે દિલ્હીસ્થિત ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ ફોરમમાં ફરિયાદ કરી હતી. સુનાવણી બાદ ચુકાદો આપતાં ફોરમે આઇઆરસીટીસીને હેરાનગતિ બદલ રાકેશકુમારને ૫૦૦૦ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. ચુકાદામાં ફોરમે કહ્યું હતું કે સ્વાભાવિકપણે જ આઇઆરસીટીસી દ્વારા રાકેશને સ્થાને અન્ય કોઈને ટિકિટ ફાળવી દેવામાં આવી હતી અને આ તદ્દન અયોગ્ય છે.