જ્યારે આ હૉસ્પિટલે કોરોનાના ગરીબ દર્દીનું 1.50 કરોડનું બિલ માફ કર્યું
તસવીર સૌજન્ય ટ્વિટર
કોરોના એવો વાઇરસ છે જે જ્યારે સંક્રમિત કરે ત્યારે જરાય ભેદભાવ નથી રાખતો. એ ગરીબગુરબાં હોય કે પછી કરોડપતિ, કોઇને ચેપ લાગવાનો હોય તો લાગી જ જાય છે. અહીં હૉસ્પિટલનાં વાંધા છે, લોકોને ક્યાંક સારવાર મળે છે તો ક્યાંક નથી મળતી. ખાનગી હૉસ્પિટલ્સની ફી કેવી હોય છે તે તો આપણે બધાં જ જાણીએ છીએ. એવામાં દુબઇની આ હૉસ્પિટલનો કિસ્સો બહુ જ હ્રદય સ્પર્શી છે. અહીં એક કોરોના પેશન્ટની સારવાર પણ થઇ અને એટલું જ નહીં પણ 1.50 કરોડનું તેનું બિલ માફ કરાયું. આટલું ઓછું હોય તેમ તેને ફ્લાઇટની મફત ટિકીટ પણ આપી અને દસ હજાર રૂપિયા આપી ભારત પાછો પહોંચાડ્યો.
માહિતી અનુસાર તેલંગાણા જગતીલનો રહેવાસી 42 વર્ષનો ઓદનલા રાજેશને કોરોના પૉઝિટીવ હોવાની ખબર પડી અને તેને 23 એપ્રિલે હૉસ્પિટલમાં દાખલ કરાયો. તેની સારવાર એંશી દિવસ સુધી ચાલી અને તે સાજો થઇ ગયો. તેનું બિલ આવ્યું 7,62,555 દિરહામ એટલે કે લગભગ એક કરોડ બાવન લાખ રૂપિયા જે તેને માટે ચુકવવું શક્ય જ નહોતું. ગલ્ફ વર્કર્સ પ્રોટેક્શનનનાં અધ્યક્ષ ગુંદેલી નરસિંહા સાથે રાજેશ સંપર્કમાં હતો અને તેણે જ રાજેશને અહીં દાખલ કરાવ્યો હતો. આટલા મોટા બિલની વાત ભારતીય વ્યાપર એલચી અધિકારી સુમનાથ રેડ્ડીને જણાવ્યો અને તેમણે એમ્બેસેડર હરજીત સિંહને વાત કરી. હરજીત સિંહે દુબઇની હૉસ્પિટલના મેનેજમેન્ટને પત્ર લખ્યો અને માનવ અધિકારને નાતે આ બિલ માફ કરવા વિનંતી કરી. જોવાનું એ છે કે હૉસ્પિટલે હકારાત્મક વલણ રાખી આ આખું બિલ માફ કરી દીધું. એટલું જ નહીં પણ રાજેશ હેમખેમ તેના સાથી મિત્ર સાથે ભારત પહોંચે એ માટે તેને દસ હજાર રૂપિયા અને એર ટિકીટ પણ આપી. રાજેશ હાલમાં પોતાને વતન પાછો ફર્યો છે અને હોમ ક્વોરેન્ટાઇનમાં છે.