IRCTC કૌભાંડ મામલે લાલુને વચગાળાના જામીન મંજૂર
લાલુપ્રસાદ યાદવને પટિયાલા હાઉસ કોર્ટે મોટી રાહત આપી છે.
આરજેડી સુપ્રીમો લાલુપ્રસાદ યાદવને રેલવે ટેંડર કૌભાંડ મામલે મોટી રાહત મળી છે. દિલ્હીની પટિયાલા હાઉસકોર્ટે આ મામલે લાલુને વચગાળાના જામીન આપી છે. આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં લાલુ યાદવને હાજર કરવામાં આવ્યા અને કોર્ટે લાલુને વચગાળાના જામીન મંજૂર કર્યા.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પટિયાલા હાઉસકોર્ટમાં રાબડી અને તેજસ્વીને બે વાર હાજર કરવામાં આવ્યા હતા અને તેમાં તેજસ્વી અને રાબડીદેવીને જામીન આપવામાં આવ્યા હતા. આજે કોર્ટે લાલુને પણ વચગાળાના જામીન આપી દીધા છે. લાલુને આ જામીન મળવાની સાથે જ તેજસ્વી અને રાબડીદેવી સહિત અન્ય આરોપીઓના વચગાળાના જામીન 19 જાન્યુઆરી સુધી વધારી દેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
આ પહેલા પટિયાલા હાઉસકોર્ટમાં હાજર થવા માટે રાબડી અને તેજસ્વી યાદવ દિલ્હી પહોંચ્યા અને કોર્ટમાં હાજર થયા. લાલુ હાલ ચારા કૌભાંડ મામલે રાંચીની હોટવાર જેલમાં બંધ છે અને તેમની તબિયત ખરાબ હોવાને કારણે તેમનો ઇલાજ રાંચીની રિમ્સ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે 19 નવેમ્બરના રોજ થયેલી પાછલી સુનાવણીમાં તબિયત ખરાબ હોવાને કારણે લાલુ કોર્ટમાં હાજર થઈ શક્યા ન હતા. જજે આગામી સુનાવણી દરમિયાન લાલુને 20 ડિસેમ્બરના રોજ હાજર થવાનો આદેશ આપ્યો હતો.