ગુજરાતમાં બનશે દેશની પહેલી ટેરરિસ્ટ-જેલ
આરોપી ભાગે નહીં અને હાર્ડકોર ક્રિમિનલ બીજા સામાન્ય ગુનેગારને બગાડે નહીં એવા હેતુથી ગુજરાતમાં માત્ર ટેરરિસ્ટો માટે જ જેલ બનાવવામાં આવી રહી છે. ૪૦ કરોડ રૂપિયાના ખર્ચે ગાંધીનગરમાં બનનારી આ જેલ માટે ગુજરાતના જેલ-વિભાગના હેડ પી. સી. ઠાકુરે કહ્યું હતું કે ‘આ જેલમાં હૉસ્પિટલ પણ બનાવવામાં આવશે, જેથી આરોપી તબિયતને બહાને ભાગવાનો પ્લાન બનાવી ન શકે અને એવી જ રીતે જેલમાં વિડિયો-હૉલ બનાવવામાં આવશે, જેથી આ જેલના આરોપીઓને ર્કોટ સુધી લઈ જવાની જરૂર ન પડે.’
આ નવી બનનારી જેલમાં આતંકવાદી પ્રવૃત્તિ કરતાં કે આતંકવાદી પ્રવૃત્તિમાં મદદગારી કરતાં પકડાયેલા આરોપીઓને જ રાખવામાં આવશે. જો એ પછી પણ જેલમાં જગ્યા હશે તો એમાં હાર્ડકોર ક્રિમિનલને રાખવામાં આવશે, પણ આ જેલમાં નાના આરોપી કે પહેલી-બીજી વાર ગુનો કરનારા આરોપીઓને રાખવામાં નહીં આવે. પી. સી. ઠાકુરે કહ્યું હતું કે ‘આતંકવાદીઓ અને રીઢા ગુનેગારોને અન્ય આરોપીઓથી દૂર રાખવા માટે જ આ જેલ બનાવવામાં આવી રહી છે. આ પ્રકારની દેશની આ પહેલી જેલ હશે.’
આ જેલમાં અંદર-બહાર એમ બન્ને જગ્યાએ કુલ ૨૦૦ ક્લોઝ્ડ-સર્કિટ ટીવી કૅમેરા ફિટ કરવામાં આવશે.