આયર્લેન્ડમાં અબૉર્શન પરના બૅનને કારણે ભારતીય મહિલાનું થયું મોત
વ્યવસાયે ડૉક્ટર એવી ૩૧ વર્ષની સવિતા હલપાનવર નામની ભારતીય મહિલાને ૧૭ અઠવાડિયાંનો ગર્ભ હતો. જોકે કેટલાક પ્રૉબ્લેમને કારણે તેનો જીવ જોખમમાં મુકાયો હતો. સવિતાનો જીવ બચાવવાનો એકમાત્ર રસ્તો ગર્ભપાત હતો, પણ આયર્લેન્ડમાં ગર્ભપાત પ્રતિબંધિત હોવાથી ડૉક્ટરોએ એનો ઇનકાર કરી દીધો હતો. એ પછી સવિતાએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટના ૨૮ ઑક્ટોબરે આયર્લેન્ડના ગૈલવેમાં આવેલી યુનિવિર્સિટી હૉસ્પિટલમાં બની હતી, પણ ‘આઇરિશ ટાઇમ્સ’ નામના સ્થાનિક અખબારે ગયા બુધવારે આ વિશેના સમાચાર પ્રસિદ્ધ કર્યા બાદ એ પ્રકાશમાં આવી હતી.
આયર્લેન્ડ કૅથલિક દેશ હોવાથી ત્યાં ગર્ભપાત પર બૅન છે. ગઈ કાલે ભારત સરકારે પણ ભારતીય મહિલાના મૃત્યુની ઘટના વિશે ચિંતા વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે આયર્લેન્ડ સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા તપાસપંચના અહેવાલ બાદ ભારત સરકાર પોતાનું વલણ સ્પષ્ટ કરશે.