આજથી 'તાજ'ના દર્શન થયા મોંઘા
તાજની મુલાકાત થઈ મોંઘી(ફાઈલ તસ્વીર)
વિશ્વની અજાયબીઓમાંથી એક તાજમહેલમાં ભીડને કાબૂમાં કરવા માટે નવી વ્યવસ્થા લાગૂ પાડવામાં આવી છે. મુખ્ય મકબરા સુધી જવા માટે હવે પર્યટકોએ કુલ 250 રૂપિયા ચુકવવા પડશે. તાજ મહેલની મુલાકાતે આવા પર્યટકોની સંખ્યા સતત વધી કહી છે. વીકેંડમાં 50 હજારથી વધુ સહેલાણીઓ તાજની મુલાકાતે પહોંચે છે. એવામાં મુખ્ય મકબરા પર ભીડ વધ્યા બાદ શાહજહાં અને મુમતાઝની કબર જોવા વાળાઓની ભીડ વધી જાય છે. લોકોને કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડે છે. જેને જોતા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે મુખ્ય મકબરા પર ભીડને ઓછી કરવા માટે ટિકિટના જક વધારવાનું સૂચન આપ્યું હતું જેને સરકારે મંજૂરી આપી છે.
જૂના દર મુજબની 50 રૂપિયાની ટિકિટ લેનાર પર્યટકોને રેડ પ્લેટફોર્મ(ચમેલી ફર્શ) સુધી જવાની અનુમતિ મળશે. આ પર્યટકો મુખ્ય મકબરા સિવાય તાજમહેલના દીદાર કરી શકશે.
ADVERTISEMENT
અહીંથી મળશે ટિકિટ
તાજમહેલના પૂર્વીય અને પશ્ચિમી ગેટ પર બનેલી ટિકિટ વિંડો પરથી પર્યટકો ટિકિટ લઈ શકશે. અહીં સ્થાનિક પર્યટકો માટે 50 અને 250 રૂપિયાની ટિકિટ આપવામાં આવશે જ્યારે વિદેશી પર્યટકોએ 1100 અને 1300 રૂપિયા ચુકવવા પડશે. જ્યારે સાર્ક દેશો માટે 540 અને 740 રૂપિયાની ટિકિટ રહેશે. મુલાકાતીઓ પોતાની સુવિધા અનુસાર ટિકિટની પસંદગી કરી શકશે.
ઑગસ્ટમાં પણ વધ્યા હતા ભાવ
પ્રવાસન વિભાગે ઑગસ્ટમાં પણ તાજની ટિકિટમાં વધારો કર્યો હતો. સ્થાનિક અને સાર્ક દેશોના પર્યટકો માટે ટિકિટમાં 10 રૂપિયા અને વિદેશી પર્યટકો માટે 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ પહેલા એપ્રિલ 2016માં ટિકિટના દરમાં વધારો કરવામાં આવ્યો હતો.
200 રૂપિયામાં શું જોવા મળશે?
200 રૂપિયાની વધારાની ટિકિટ લઈને મુલાકાતીઓ તાજના મુખ્ય મકબરાના મુગલકાળના નકશીકામનો આકર્ષક નજારો જોઈ શકશે. સંગેમરમર પર કરવામાં આવેલું આ નકશીકામ પર્યટકોમાં આકર્ષણનું કેંદ્ર છે. મુમતાજની કબર પાસે પણ પથ્થરો પર શાનદાર કામ કરવામાં આવ્યું છે. જે ખુબ જ મનમોહક છે.
પર્યટન ઉદ્યોગ પર પડશે અસર
તાજમહેલના દીદાર માટેની ટિકિટના ભાવમાં વધારો થતા પર્યટકોમાં નારાજગી છે. હોટલ એંડ રેસ્ટોરેંટ ઑનર્સ એસોસિયેશનના અધ્યક્ષ રમેશ બાધવાનું કહેવું છે કે વિદેશી ટૂરિસ્ટ પહેલાથી જ આખું પેકેજ બુક કરાવીને આવે છે. જેમાં તાજની ટિકિટ પણ સામેલ હોય છે. એક સાથે 200 રૂપિયાનો વધારો થવાથી પર્યટન ઉદ્યોગ પર અસર પડશે.