મહારાષ્ટ્રમાં કોરોના દરદીઓ ભાભીજી પાપડ ખાઈને સાજા થયા? : સંજય રાઉત
સંજય રાઉત
દેશમાં સૌથી વધારે કોરોના કેસ મહારાષ્ટ્રમાં નોંધાયેલા છે. આજે રાજ્યસભામાં આ મુદ્દે મહારાષ્ટ્રનો બચાવ કરતાં શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉતે બીજેપીના પ્રધાન પર ટોણો માર્યો હતો.
રાઉતે કહ્યું હતું કે ‘રાજ્યમાં સાજા થનારા દરદીઓની સંખ્યા વધી છે. ધારાવી જેવા વિસ્તારમાં પણ કોરોના પર નિયંત્રણ મેળવી શકાયું છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને પણ આ મામલામાં મુંબઈ કૉર્પોરેશનનાં વખાણ કર્યાં છે. આ બધાં તથ્યો એટલા માટે મારે કહેવા પડી રહ્યા છે કે કેટલાક સભ્યોએ ગઈ કાલે મહારાષ્ટ્ર સરકારની ટીકા કરી હતી.’
રાઉતે કહ્યું હતું કે ‘કેન્દ્રના પ્રધાન અર્જુન મેઘવાલે કોરોના સામે લડવા પાપડ ખાવાની સલાહ આપી હતી. મારે અહીં સભ્યોને પૂછવું છે કે આટલા બધા કોરોનાના દરદીઓ શું ભાભીજીના પાપડ ખાઈના સાજા થયા છે. આ કોઈ રાજકીય લડાઈ નથી. લોકોની જિંદગી બચાવવા માટેનો જંગ છે.’
આ પહેલાં જ્યારે બીજેપીના સંસદસભ્યોએ કોરોનાના સૌથી વધારે કેસના મામલે મહારાષ્ટ્ર સરકારની ટીકા કરી હતી ત્યારે સંસદસભ્ય જયા બચ્ચને ઉદ્ધવ સરકારનો બચાવ કર્યો હતો.