બોલો સાસરિયાએ મૃત દીકરાની પત્નીને સલમાન ખાન સાથે પરણાવી દીધી!
મૃત દીકરાની પત્નીને સલમાન ખાન સાથે પરણાવી દીધી
સલમાન ખાન બૉલીવુડનો મોસ્ટ સ્યૂટેબલ બૅચલર ગણાય છે જોકે એક પરિવારે પોતાની જ દીકરાવહુને સલમાન ખાન સાથે પરણાવી દીધી હોવાની તસવીરો વાઇરલ થઈ છે. વાત એમ છે કે છત્તીસગઢના વિલાસપુરના વૈકુંઠપુરમાં રહેતા વસંતલાલનાં લગ્ન સૂરજપુર ગામની રાની દેવી સાથે થયાં હતાં. વસંતલાલ એક સરકારી નોકરી કરતા હતા. જોકે ૨૫ જુલાઈ ૨૦૧૩ના રોજ વસંતલાલે પોતાના જ ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. એ પછી તેની પત્નીને સાસરિયાઓએ ઘરેથી કાઢી મૂકી હતી અને કહ્યું કે હવે વસંત રહ્યો નથી ત્યારે તારો આ પરિવાર સાથે કોઈ સંબંધ નથી. જોકે જ્યારે વસંતલાલના મૃત્યુ પછી તેમની સરકારી નોકરી તેના જ પરિવારની વ્યક્તિને મળે એવી યોજના હતી એટલે સરકારી ખાતા દ્વારા વસંતલાલની પત્ની વિશે પૂછતાછ થઈ. સાસરિયાંઓ એ સરકારી નોકરી કોઈ પણ ભોગે વહુને ન મળે પણ પોતાના જ પરિવારજનોને મળે એ માટે ગોલમાલની પેરવીમાં લાગ્યા. નવાઈની વાત એ છે કે આ માટે પરિવારજનોએ વિચિત્ર નુસખો શોધ્યો. રાની દેવીએ બીજાં લગ્ન કરી લીધાં છે એવો પુરાવો તેમણે સરકારી ઑફિસમાં જમા કરાવ્યો જેથી તેની સરકારી નોકરી પરની દાવેદારી હટી જાય. અલબત્ત, આ માટે તેના નવા પતિ તરીકે સલમાન ખાનની તસવીર એડિટ કરીને મૂકી દીધી હતી. હાઇ કોર્ટમાં આ મામલો પહોંચ્યો ત્યારે તસવીર ખોટી છે એ પુરવાર કરવામાં જરાય સમય ન લાગ્યો. સલમાનનો ચહેરો એડિટ કરેલો હોવાથી કોર્ટે પણ રાની દેવીની તરફેણમાં ચુકાદો આપ્યો છે.