કોલ્હાપુરમાં ચોરોએ પોલીસ-સ્ટેશનમાં જ કરી હાથસફાઈ
ઘર, બૅન્ક, મંદિર કે અન્ય સ્થળોએ ચોરી થવાની ઘટના સામાન્ય છે. આવો કોઈ બનાવ બને ત્યારે આપણે પોલીસને જાણ કરીએ છીએ અને પોલીસ એની તપાસ હાથ ધરે છે, પરંતુ કોઈ પોલીસ-સ્ટેશનમાં જ તસ્કરો હાથફેરો કરી જાય તો ફરિયાદ ક્યાં કરવી અને તપાસ કોણ કરે એવો સવાલ ઊભો થાય છે. કોલ્હાપુરના એક પોલીસ-સ્ટેશનમાં આવી જ ઘટના બની છે. પોલીસ-સ્ટેશનમાંથી સાત લાખની રોકડ રકમ સાથે બે લાખ રૂપિયાની કિંમતના ૧૮૫ મોબાઇલ કોઈ ઉઠાવી ગયા હતા. આથી સવાલ પેદા થાય છે કે પોલીસ-સ્ટેશનમાં જ પૂરતી સલામતી નથી તો સામાન્ય નાગરિકની સુરક્ષાનું શું?
મળેલી માહિતી મુજબ કોલ્હાપુરના જયસિંગપુર પોલીસ-સ્ટેશનમાંથી કૅશ અને ૧૮૫ મોબાઇલ ચોરી થવાનું ગઈ કાલે જાણવા મળ્યું હતું. પોલીસે વિવિધ કેસમાં આરોપીઓ પાસેથી આ મોબાઇલ જપ્ત કર્યા હતા. પોલીસ-સ્ટેશનમાં જ ચોરી થવાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં આખા કોલ્હાપુરમાં આ બનાવની ચર્ચા થઈ રહી છે. મોબાઇલ ગાયબ થવાની ફરિયાદ નોંધીને પોલીસે તપાસ હાથ ધરી છે.
શુક્રવારે મોડી રાત્રે કારકૂન પોલીસ-સ્ટેશનનો સ્ટોરરૂમ બંધ કરીને ગયો હતો. બીજા દિવસે સવારે તે આવ્યો ત્યારે સ્ટોરરૂમમાં લોખંડના કબાટમાં રખાયેલા મોબાઇલ ગાયબ હતા. મોબાઇલની સાથે સાત લાખની કૅશ પણ ગાયબ હતી. બનાવની જાણ થયા બાદ ડૉગ સ્ક્વૉડ તથા ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી પુરાવા એકત્રિત કરાયા હતા.
પોલીસ-સ્ટેશન અને આસપાસના પરિસરના સીસીટીવી કૅમેરાના ફુટેજની મદદથી પોલીસ-સ્ટેશનમાં જ હાથ મારનારા આરોપીને પકડવા માટે સ્થાનિક પોલીસની સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમો કામે લાગી છે. ઘર, ઑફિસ, મંદિર કે બીજાં સ્થળોએ ચોરી થયાં બાદ પોલીસ તપાસ કરતી હોય છે, પરંતુ અહીં તો પોતાના જ પોલીસ-સ્ટેશનમાં થયેલી ચોરીનો મામલો ઉકેલવા માટે કામે લાગી છે.
જયસિંગપુર પોલીસ-સ્ટેશનના ઇન્ચાર્જ દત્તા બોરીગિડ્ડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોલીસ-સ્ટેશનમાં ચોરીના મામલામાં અમે તમામ પ્રકારે તપાસ કરી રહ્યા છીએ. હજી સુધી કોઈ કડી મળી નથી.’