બોરીવલીમાં બાળકીના મૃતદેહને પિતા ખભા પર સ્મશાન સુધી લઈ ગયો
દેશ પર અભૂતપૂર્વ સંકટનાં વાદળ ઘેરાયાં છે. કોરોના વાઇરસની ચપેટમાં આખો દેશ સપડાયો છે ત્યારે બોરીવલીમાં તમારું દિમાગ કામ ન કરે એવી ઘટના બની હતી. કોરોના વાઇરસ વધુ પ્રમાણમાં ફેલાય નહીં એટલે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે બોરીવલીમાં અઢી વર્ષની બાળકીના મૃતદેહને પિતા ખભા પર સ્મશાન સુધી લઈ ગયા હતા.
છેલ્લા અનેક દિવસથી આ બાળકી બીમાર હતી. પાલિકાના ડૉક્ટરો તેની તપાસ કરી રહ્યા હતા. કોરોનાની દૃષ્ટિએ પણ તેની તપાસ કરવામાં આવી હતી, પણ એવાં કોઈ લક્ષણ તે બાળકીમાં દેખાયાં નહોતાં. દરમ્યાન બીમારીને કારણે આ બાળકીનું ગઈ કાલે સવારે મૃત્યુ થયું હતું. કોરોના વાઇસને રોકવા માટે કરફ્યુ લાગુ કરવામાં આવ્યો છે ત્યારે અંતિમ સંસ્કાર માટે પણ સરકારે અમુક નિર્દેશ બહાર પાડ્યા છે. અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકોએ જઈને ગિરદી ન કરવી. આ બાબતને ધ્યાનમાં રાખીને બાળકીનાં માતા-પિતાએ ઘરના અને પાડોશના મળીને અંદાજે ૧૦ જણ સાથે મળીને બાળકીના અંતિમ સંસ્કાર કર્યા હતા. પિતા બાળકીના મૃતદેહને ખભા પર ઉઠાવીને સ્મશાનભૂમિ સુધી લઈ ગયા હતા. પોલીસને માહિતી મળતાં ઍમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી હતી, પણ કુટુંબીજનોએ ઍમ્બ્યુલન્સની સેવા લેવાનું નકારી દીધું હતું.