IITની પરીક્ષામાં પુછાયું:ધોની ટૉસ જીતે તો બૅટિંગ લેવી કે ફિલ્ડિંગ ?
મહેન્દ્રસિંહ ધોની
ક્રિકેટની સીઝન ચાલી રહી છે ત્યારે માત્ર રમતના મેદાનમાં જ નહીં, કૉલેજના એક્ઝામ-પેપરમાં પણ ક્રિકેટનો રંગ છવાયેલો દેખાય છે. આઇઆઇટી-મદ્રાસની એક સેમિસ્ટર પરીક્ષામાં પુછાયું હતું કે ‘ચેન્નઈ સુપરકિંગ્સનો કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની જો મૅચમાં ટૉસ જીતે તો તેણે શું કરવું જોઈએ?’
આવો સવાલ કઈ રીતે કૉલેજના પ્રશ્નપત્રમાં પુછાઈ શકે એ વિશે પ્રોફેસર વિજ્ઞેશ મુથુવિજયે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે આવો સવાલ પરીક્ષામાં સવાલને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે હતો, બાકી મૂળ સવાલ તો ટેક્નિકલ જ હતો. પ્રશ્નપત્રમાં સવાલ પુછાયો છે કે ‘ક્રિકેટની ડે-નાઇટ રમતમાં ભેજની ભૂમિકા મહત્ત્વની હોય છે. મેદાનમાં ભેજ બૉલને ભીનો કરી દે છે એને કારણે સ્પિનરો માટે ભીનો બૉલ પકડવો અને સ્પિન કરવો મુશ્કેલ બની જાય છે. ફાસ્ટ બોલરો માટે પણ લેન્ગ્થ પર બોલિંગ કરવી મુશ્કેલ બની જાય છે.
ADVERTISEMENT
ઇપીએલમાં સાતમી મેએ ચેન્નઈ અને મુંબઈની ક્વૉલિફાયર મૅચ છે. એ મૅચ વખતે ચેન્નઈમાં ૭૦ ટકા ભેજ તેમ જ રમત શરૂઆતમાં ૩૯ ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે. બીજી ઇનિંગ્સ શરૂ થશે ત્યારે તાપમાન ૨૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાન હશે. એ માહિતીના આધારે કહો કે ધોની ટૉસ જીતે તો તેણે બૅટિંગ લેવી જોઈએ કે ફીલ્ડિંગ? વિગતવાર તથ્ય સમજાવીને જવાબ આપો.’
આ પણ વાંચોઃ બોલો, એક સ્કૂલમાં ફીના બદલે પ્લાસ્ટિકનો કચરો લેવામાં આવે છે
ક્રિકેટ બોર્ડે ઑફિશ્યલ ઇન્સ્ટાગ્રામ-અકાઉન્ટ પર આ સવાલનો સ્ક્રીન-શૉટ પણ શૅર કર્યો છે. વળી, એની સાથે કૅપ્શનમાં લખ્યું છે, ‘ટૉસ જીત્યા બાદ નિર્ણય લેવામાં કોઈ ધોનીને મદદ કરી શકશે?’