RSSના વડા મોહન ભાગવતનું એલાન : ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું શમણું ટૂંક સમયમાં થશે સાકાર
કલકત્તામાં યોજાયેલા વિશ્વ હિન્દુ પરિષદના એક સંમેલનને સંબોધન કરતાં મોહન ભાગવતે એમ પણ કહ્યું હતું કે યુવાનોની યુવાની ચાલી જાય એ પહેલાં ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું છે. દેશ હિન્દુ રાષ્ટ્ર બને એ સપનું સાકાર થવામાં હવે બહુ લાંબો સમય બાકી નથી રહ્યો.
હિન્દુત્વ વિના કોઈનું કલ્યાણ થઈ ન શકે એવું જણાવતાં મોહન ભાગવતે ઉમેર્યું હતું કે હિન્દુ બદલાશે નહીં તો હિન્દુત્વ પણ નહીં બદલાય. માથાં વાઢી નાખતા લોકોથી અમે બીજાઓને જરૂર બચાવીશું અને આ મુદ્દે અમારો નિર્ણય અટલ છે.
પાકિસ્તાનને પણ હિન્દુસ્તાનનો એક હિસ્સો ગણાવતાં મોહન ભાગવતે કહ્યું હતું કે ૧૯૪૭માં જે કંઈ થયું એના કારણે પાકિસ્તાનની રચના થઈ છે, પણ એ સ્થાયી નથી. પાકિસ્તાન બહુ બધા ગુનાઓ કરી રહ્યું છે અને આપણે સહન કરી રહ્યા છીએ, પણ હવે એ નહીં ચાલે. શું કરવું એની અમને ખબર છે. આતંકથી ડરેલા દુનિયાભરના લોકોની મદદ હિન્દુઓ કરી શકે તેમ છે.