હાઈ કોર્ટમાં મહારાષ્ટ્ર સરકારે આપેલો સંકેત
હાઈ કોર્ટમાં મહારાષ્ટ્ર સરકારે આપેલો સંકેત
અત્યાવશ્યક સેવા સાથે વકીલોને પણ મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની છૂટ મળે એ માટે બાર કાઉન્સિલ ઑફ મહારાષ્ટ્ર ઍન્ડ ગોવા દ્વારા બૉમ્બે હાઈ કોર્ટમાં જનહિતની અરજી દાખલ કરાઈ હતી, જેની સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા રજૂઆત કરતાં ઍડ્વોકેટ જનરલ આશુતોષ કુંભકોણીએ કહ્યું હતું કે લોકલ વધારવાની સાથે સામાન્ય લોકોને પ્રવાસ કરવા દેવા સામે અમને કશો વાંધો નથી, પણ હજી લોકો જાહેરમાં માસ્ક પહેરતા નથી. એથી તેમને ઑકિસ્જન માસ્ક ન પહેરવો પડે એ માટે અમે તેમને એ માટે પરવાનગી આપતા નથી. કોર્ટે લોકલ ટ્રેનની વ્યવસ્થા બરાબર ચાલે એ માટે માત્ર અધિકારીઓ જ નહીં મુખ્ય પ્રધાન અને પ્રધાનોની પણ જવાબદારી હોવાની ટિપ્પણી કરી હતી.
બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ગિરીશ કુલકર્ણીની બેન્ચે આ સામે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘હાલની પરિસ્થિતિમાં સામંજસ્ય રાખવું જરૂરી છે. રેલવે સ્ટેશનો પર એક જ વખતે ભીડ ન થાય એનું ધ્યાન રાખવાની સાથે ઑફિસના સમયમાં ફેરફાર કરાય એ બહુ જ જરૂરી છે. એ માટે સરકારી અને પ્રાઇવેટ ઑફિસોના સમય બદલી પૉલિસી ઘડી કાઢો. અહેવાલ અનુસાર ડિસેમ્બર–જાન્યુઆરીમાં ફરી એક વખત કોરોનાના કેસમાં ઉછાળો આવી શકે એમ છે.’ કોર્ટે હવે પછીની સુનાવણી ૧૯ ઑક્ટોબરે રાખી છે.