Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મૌત તૂ એક કવિતા નહીં હૈ!

મૌત તૂ એક કવિતા નહીં હૈ!

05 December, 2019 01:36 PM IST | Mumbai
Jayesh Chitaliya

મૌત તૂ એક કવિતા નહીં હૈ!

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


શાયર-કવિઓ ભલે મોતને એક કવિતા કહેતા, પરંતુ દિલ કો બહલાને યા સમઝાને કો યે ખયાલ અચ્છા હૈ. મોત એક વાસ્તવિકતા છે જેનો અસ્વીકાર થઈ શકે નહીં છતાં જ્યારે કોઈ સ્વજન-પ્રિયજનનું  મૃત્યુ થાય ત્યારે માણસ બધું ભૂલી જાય છે. આ સમયે જો માણસ મોતને સમજવાનો પ્રયાસ કરે તો તેની જિંદગી બદલાઈ શકે, ઈશ્વર સાથે સીધી વાત થઈ શકે

રાજેશ ખન્નાની સુપરહિટ ફિલ્મ ‘આનંદ’માં અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્ના વચ્ચે એક સંવાદરૂપે એક કાવ્ય બોલાય છે જેમાં કૅન્સરની બીમારીને કારણે મરણની પ્રતીક્ષામાં અંતિમ દિવસોમાંથી પસાર થઈ રહેલા રાજેશ ખન્નાને અમિતાભ બચ્ચન એક કાવ્ય સંભળાવે છે, ‘મૌત તૂ એક કવિતા હૈ, મુઝસે એક કવિતા કા વાદા હૈ, મિલેગી મુઝકો...’



આ પંક્તિ અને એને દર્શાવતું દૃશ્ય લગભગ બધાને યાદ હશે, પરંતુ શું મોત એક કવિતા છે? મોતને કવિતા કઈ રીતે કહી શકાય? એવો સવાલ થોડા દિવસ પહેલાં એક પ્રિયજનના મૃત્યુને જોઈને હૃદયમાં સળવળાટ થવા લાગ્યો. આ પ્રિયજન સાથે થોડા દિવસથી નિયમિત વાત થતી હતી, બે દિવસ પછી પ્રત્યક્ષ મળવાનું પણ નક્કી હતું અને એ બે દિવસ પહેલાં જ સવારના સમાચાર આવ્યા કે એ ભાઈએ અચાનક જ વિદાય લઈ લીધી. કંઈ જ નહોતું, કોઈ રોગ નહોતો, કોઈ બીમારી નહોતી, કોઈ ઉંમરનું પણ કારણ નહોતું છતાં બે દિવસ પછી મળશે ત્યારે આ વાત કરીશું, પેલી વાત કરીશું એવી કલ્પના વચ્ચે એ ભાઈ વાત કરવા કે સાંભળવા રોકાયા જ નહીં.


અલબત્ત, કોઈ પ્રિયજનનું આ પહેલું મૃત્યુ જોવાનું થયું નહોતું. અગાઉ પણ ઘણાં મૃત્યુ જોવાનાં થયાં છે છતાં દરેક મૃત્યુ કંઈક કહીને-કંઈક સમજાવીને જાય છે. હા, મૃત્યુ મને પોતાને પણ આવવાનું જ છે, એ સમયે જીવતા મારા બીજા પ્રિયજનો પણ મારા મૃત્યુને જોશે જ. કોઈ પણ માનવીના જન્મ સાથે જ તેનું મૃત્યુ નક્કી થઈ જાય છે. અર્થાત્ જે જન્મે છે તે મરણ પણ પામે જ છે, એમાંથી કોઈ બાકાત નથી. જે નિશ્ચિત જ છે, જે જન્મ બાદ ક્યારે પણ, કોઈ પણ સમયે- સ્વરૂપે આવવાનું જ છે, પરંતુ એ આવે ત્યારે એને સ્વીકારવાની તેમ જ આવકારવાની તૈયારી આપણે કરતા હોઈએ છીએ ખરા? એવા સવાલ પણ જાગવા સહજ બની જાય છે.  

ગયા ગુરુવારે આ અખબારમાં પ્રગટ થયેલા બે ખાસ મિત્રોના સમાચારે પણ હૃદયને હલબલાવી દીધું હતું. આ બે મિત્રોએ હજી અમુક કલાક પહેલાં જ તેમના મોબાઇલના વૉટ્સઍપ ડીપીમાં લખેલા એક વિધાનનો ભાવ હતો, ‘અમે બે શરીર, પણ એક આત્મા જેવા મિત્રો.’ આ જ વાતને હકીકત બનાવી દેતી અકસ્માતની ઘટના અમુક કલાકો બાદ બની જેમાં તેમનું બન્નેનું એકસાથે રોડ-ઍક્સિડન્ટમાં અવસાન થઈ ગયું. બન્ને મિત્રોએ એકસાથે વિદાય લઈ લીધી. આવી ઘટના બાદ કવિ સંદીપ ભાટિયાની લાઇફટાઇમ માટેની યાદગાર પંક્તિ નજર સામે આવી જાય...


ક્ષણભરમાં માણસ ધુમાડો થઈ જાય

એ જેવી તેવી વાત નથી

મોત વિશે આપણી હિન્દી ફિલ્મોમાં પણ ઘણાં હૃદયસ્પર્શી ગીતો લખાયાં છે. આ ગીતોના શબ્દો ભલે વાત મોતની કરે છે, પરંતુ એ શબ્દો પોતે બહુ લાંબું જીવી રહ્યા છે યા પછી જાણે અમર થઈ ગયા છે. ઝિંદગી કા સફર, હૈ યે કૈસા સફર, કોઈ સમઝા નહીં, કોઈ જાના નહીં. વાત જિંદગીની કરીને યાદ મોતની કરાવે છે. એમાં વળી મોત વિશે એવું પણ કહેવાય છે, ઐસે જીવન ભી હૈ, જો જિયે હી નહીં, જીનકો જીને સે પહેલે હી મૌત આ ગઈ...

ફુલ ઐસે બી હૈ, જો ખિલે હી નહીં

તાજેતરમાં જ ‘કૌન બનેગા કરોડપતિ’ (કેબીસી)માં એક એપિસોડમાં એક મહિલા કર્મવીર આવી હતી જે બાળકોને થતા કૅન્સરમાંથી તેમને ઉગારવા, તેમનું જીવન બચાવી લેવા શું કાર્ય કરે છે, શા માટે કરે છે અને કઈ રીતે કરે છે એ વાતો તેણે જણાવી હતી. આ વાતો દરમ્યાન એ કૅન્સરપીડિત નાનાં બાળકોને જોઈને તેમની કથા-વ્યથા સાંભળી આપણું હૃદય દ્રવી ઊઠે એવું હતું. આ ગરીબ બાળકો, તેમની જીવલેણ બીમારી, તેમનું કુપોષણ, તેમનાં માતા-પિતાની લાચારી પણ જોનાર-સાંભળનારના મનમાં અનેક સવાલો ઊભા કરી દે એવાં હતાં. આ બાળકો માટે જ જાણે આ પંક્તિ ઐસે જીવન ભી હૈ, જો જિયે હી નહીં, જીનકો જીને સે પહેલે હી મૌત યાદ આ ગઈ, ફુલ ઐસે બી હૈ, જો ખિલે હી નહીં, જીનકો ખિલને સે પહેલે ફિઝા ખા ગઈ... લખાઈ હોય એવું લાગે. 

જન્મ અને મરણ વચ્ચેની અનિશ્ચિત યાત્રા

મોત વિશે હિન્દીમાં એક અદ્ભુત પંક્તિ કહે છે, અભી હમ તુઝકો હી યાદ કરતે થે,

ઐ મૌત તેરી બડી લંબી ઝિંદગાની હૈ... જન્મ અને મરણ વચ્ચેનું જીવન એક યાત્રા છે. કોની યાત્રા કેટલી ચાલશે, ક્યાં રોકાઈ જશે યા અટકી જશે એ કોઈ જાણતું નથી. એમાં પણ જ્યારે સ્વજન કે પ્રિયજનની આવી યાત્રા આપણી નજર સમક્ષ જ અટકી જાય ત્યારે જાણે આપણી યાત્રા ચાલુ હોવા છતાં સ્થગિત થઈ ગઈ હોય એવું લાગે. અચાનક આવીને કોઈ પણ ક્ષણે આવીને લઈ જતા મોત વિશે એક હિન્દી પંક્તિ બહુ સહજપણે એવું પણ કહે છે, મૌત કયા હૈ કૈસે સમઝાઉં જમાને કો, મુસાફિર થા રાસ્તે મેં નીંદ આ ગઈ. તો વળી એક હિન્દી ફિલ્મનું ગીત કહે છે, ઝિંદગી તો બેવફા હૈ, એક દિન ઠુકરાયેગી, મૌત મેહબૂબા હૈ, સાથ લેકર જાયેગી... આમ મોત વિશે અનેક ગીતો–કવિતા લખાયાં હોવા છતાં મોતને કવિતા કઈ રીતે કહેવી? આ સવાલમાંથી જન્મેલા વિચારે નીચે મુજબની પંક્તિઓ લખાઈ ગઈ હતી જેમાં મોતનો સહર્ષ સ્વીકારભાવ છે અને એ ભાવ એના આગમન વખતે હેમખેમ રહે એ જ પરમાત્માને પ્રાર્થના છે, જેનું કારણ આ પંક્તિઓમાં જ છે...

મૌત તૂ એક કવિતા નહીં હૈ,

ન મેરા તુઝસે કોઈ વાદા હૈ,

તૂ તો એક રહસ્ય હૈ, કબ, કહાં, કિસે લે જાય,

કિસે ભી પતા નહીં ચલતા હૈ,

મુઝે એક દિન તેરે સાથ તેરી મરજી સે જાના હોગા

યે પક્કા પતા હૈ, તો ફિર તુઝે કવિતા કૈસે કહું?

કવિતા એક દિન પુરાની ભી હો જાતી હૈ,

ઔર તૂ હંમેશાં નઈ-નઈ, તાજી-તાજી,

સબસે જ્યાદા ઈસ જગત મેં કોઈ નિશ્ચિત હૈ તો વોહ તૂ હૈ,

ઔર સબ સે જ્યાદા અનિશ્ચિત ભી તૂ,

મૈં તુઝસે કોઈ વાદા નહીં કરતા,

સિર્ફ એક વચન માગતા હૂં,

તૂ જબ ભી મુઝે લેને આયે, યાદ રખના,

મુઝે ઉસ વક્ત કોઈ ફરિયાદ ન હો,

મેરે ચહરે પે યા મેરે દિલ મેં કોઈ શિકવા ન હો,

તૂ કવિતા નહીં હૈ ફિર ભી, મૈં તુઝે એક કવિતા કી તરહ

માન લૂં, સ્વીકાર લૂં, વાહ-વાહ કહ દૂં,

મુઝે પતા હૈ, તૂ મુઝે લંબે સફર પે લે જાનેવાલી હોગી,

જહાં ગમ ભી ન હો, આંસુ ભી ન હો,

ન કોઈ અપના, ન પરાયા, ન કોઈ સુખ, ન દુઃખ,

સિર્ફ મૈં ઔર મૈં, મુક્ત આસમાન, મુક્ત ધરતી,

સબકુછ, ફિર ભી કુછ ભી નહીં, સિર્ફ, વો જિસે મૈં ઢૂંઢતા થા,

જીસકી મુઝે તલાસ થી, પ્યાસ થી, ખ્વાહિશ થી...

તેરા શુક્રિયા કરું ઉસે મિલાને કે લિયે,

ઇસ સે જ્યાદા ન શબ્દ હૈ, ન મૌન હૈ,

અબ ન તૂ હૈ, ન મૈં હૂં, સિર્ફ વોહ હૈ...

- જ.ચિ.

Whatsapp-channel Whatsapp-channel

05 December, 2019 01:36 PM IST | Mumbai | Jayesh Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK