હું બીજેપી છોડવાની નથી : પંકજા મુંડે
પંકજા મુંડે
પંકજા મુંડેએ પોતે બીજેપી છોડનાર હોવાની અફવાઓને રદિયો આપ્યો હતો. તેમની સોશ્યલ મીડિયા પરની પોસ્ટ્સનું અમુક પ્રસાર માધ્યમો દ્વારા ખોટું અર્થઘટન કરવામાં આવતું હોવાનો દાવો પંકજા મુંડેએ કર્યો હતો. ગઈ કાલે બીજેપીના નેતાઓ વિનોદ તાવડે અને રામ શિંદે પંકજાને મળ્યા હતા અને પક્ષપ્રમુખ ચંદ્રકાંત પાટીલે એ સમાચારોને અફવાઓ ગણાવીને રદિયો આપ્યો હતો.
જોકે પંકજાએ તેની ફેસબુક વૉલ પર તાજેતરમાં એક પોસ્ટમાં લખ્યું હતું કે ‘બદલાયેલા રાજકીય ચિત્રમાં ભાવિ પગલાં વિશે હું ૧૨ ડિસેમ્બરે મરાઠવાડાના ભગવાનગડમાં મારા પિતા ગોપીનાથ મુંડેની જન્મ જયંતીની ઉજવણી વેળા જાહેરાત કરીશ.’ એ પોસ્ટ વાંચ્યા પછી રાજકીય અટકળો વધી ગઈ હતી. ૨૦૧૪થી પંકજાના મનમાં પક્ષ તરફ નારાજગી ચર્ચાય છે.
આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન
પંકજા મુંડેએ ગઈ કાલે પ્રસાર માધ્યમોના પ્રતિનિધિઓને જણાવ્યું હતું કે ‘હું બીજેપી છોડીને અન્ય પક્ષમાં જોડાવાની હોવાના અહેવાલોથી મને અચરજ થાય છે. ખોટા સમાચારોથી હું ખિન્નતા અનુભવું છું. ‘પક્ષમાં કોઈ હોદ્દો મળતો નહીં હોવાથી આવું બનતું હોવાના સમાચારો ફેલાવાતા’ હોવાની મને શંકા છે.’