Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કુદરતની એક થપ્પડ પણ કેવી ભારે હોય છે!

કુદરતની એક થપ્પડ પણ કેવી ભારે હોય છે!

19 March, 2020 08:08 PM IST | Mumbai Desk
Jayesh Chitalia

કુદરતની એક થપ્પડ પણ કેવી ભારે હોય છે!

કુદરતની એક થપ્પડ પણ કેવી ભારે હોય છે!


જગતભરમાં હાલ કોરોના વાઇરસનો ભય ફેલાયેલો છે, વાઇરસનું નામ કંઈ પણ હોય, આખરે ભય તો મૃત્યુનો છે. માણસોના માથે આવા રોગની અને તેનાથી થઈ શકે એવા મોતની છાયા ફરતી હોય તો માણસોની માનસિક દશા કેવી થાય છે તેના જીવંત દાખલા હાલ જોવા-સાંભળવા મળે છે. આવું કંઈ પહેલીવાર થયું નથી, વિવિધ કુદરતી આફત, અકસ્માત, દુર્ઘટના, રોગચાળા, મહામારી વખતે આવા ભયનું સામ્રાજય છવાઈ જતું હોય છે. હાલ સમગ્ર જગત કોરોના વાઇરસના ભયના ઓઠા હેઠળ બચવાના બધાં જ સંભવ પગલાં લઈ રહ્યું છે. ઘેર-ઘેર કોરોનાની ચર્ચા છે, કેવો માહોલ રચાઈ ગયો છે કે માણસ-માણસ સાથે હાથ મિલાવતા પણ ડરે છે. ગળે મળતા પણ ગભરાય છે, ખુલ્લા મુખે સામે જોતા પણ તેને વિચાર કરવો પડે છે. આમ તો હાલ કોરોના વાઇરસનો ભય ફેલાયો છે, કિન્તુ આપણે કોરોના કરતાં મૃત્યુના ભયની વાત કરવી-સમજવી છે, જે જીવનનાં મહત્ત્વને સમજવા માટે ઉપયોગી છે.

મોતનાં દર્દ અને લાગણી
આમ તો મૃત્યુ એક શબ્દ તરીકે આપણા જીવનમાં સતત છવાયેલું રહે છે, આપણે મૃત્યુ વિશે રોજ અખબારોમાં એક યા બીજા પ્રસંગ-ઘટના વાંચતા-સાંભળતા હોઈએ છીએ. કંપારી છૂટી જાય એવા, તો કયારેક કરુણા વહાવી દે એવાં મોત જોવા-વાંચવા-સાંભળવા મળે ત્યારે થોડીવાર માટે તો આપણી ભીતર પણ એક કંપ થઈ જતો હોય છે. ક્યારેક આપણાં સગાં-સંબંધી, પાડોશી, મિત્રો અને સ્વજનો-પ્રિયજનોના મૃત્યુને આપણે સાવ જ નજીકથી જોઈએ છીએ, તેના આઘાત પણ અનુભવીએ છીએ. સામાન્ય રીતે આપણી માટે બીજાનું મોત એ ચર્ચાનો વિષય બની રહી જાય છે, થોડા દિવસ બાદ આપણે એ ભૂલી જઈએ છીએ યા ભૂલી જવું પડે છે. આમ પણ મૃત્યુ સામે કોઈનું ચાલી પણ શું શકે? કોઈનું પણ મૃત્યુ હોય, આખરે ક્યાં સુધી કોઈ રડીને કે ઉદાસ થઈને જીવી શકે. કેટલું પણ સ્વજન કે પ્રિયજન હોય તેને ગુમાવીને પણ માણસે તેની રૂટિન લાઈફમાં પરત આવી જ જવું પડે છે. અલબત્ત, તેની ભીતર સર્જાયેલો ખાલીપો એ પોતે જ જાણે, દુનિયા તેને સમજી ન શકે. આ ખાલીપો દરેકનો જુદો હોઈ શકે, માતા-પિતાનો, ભાઈ-બહેનોનો, પત્નીનો, સંતાનોનો, મિત્રોનો, દરેકનો આગવો હોઈ શકે. જીવન વિશે કહેવાય છે કે જીવન એ રહસ્ય છે અને સતત અનિશ્ચિતતાઓથી સભર હોય છે, જીવનમાં જો કોઈ નિશ્ચિત હોય તો એ છે મૃત્યુ. કોઈપણ માનવી જન્મે કે તેની મૃત્યુ તરફની યાત્રા શરૂ થઈ જાય છે.



મોતને જીવનની જેમ સમજવું જોઈએ
તાજેતરમાં એક સમાચાર એવા વાંચ્યા હતા કે અમુક શહેરોમાં ‘મોત પે ચર્ચા’ ની બેઠકનું આયોજન થાય છે. અમુક લોકો સમયાંતરે એકઠા થઈ મોત અંગે ચર્ચા કરે છે. અહીં માત્ર ફિલોસોફીની વાતો નથી થતી, બલકે આ ચર્ચામાં ભાગ લેનારના જીવનમાં આસપાસ કે પ્રિયજન-સ્વજનના થયેલા મૃત્યુની અને તેના અનુભવની વાતો થાય છે. જિજ્ઞાસાપૂર્વક આ ચર્ચા કરતી વખતે તેમનો મૂળ આશય મૃત્યુ વિશેના ભયને દૂર યા ઓછો કરવાનો, તેને સમજવાનો હોય છે. આપણે જીવન વિશે કેટલી બધી વાતો અને ચર્ચા કરીએ છીએ, તો મોત અંગે શા માટે નહીં? વાત વિચારવા જેવી ખરી!


સ્મશાન-કબ્રસ્તાન ક્યાં હોવાં જોઈએ?
એક સંત તેના શિષ્યોને કાયમ કહેતા કે તમારે અમુક દિવસ તો સ્મશાન યા કબ્રસ્તાનમાં રહેવું જોઈએ, કારણ કે મોતનો ભય દૂર કરવા માટે આ અનુભવ આવશ્યક છે. માણસ આ ભયમાંથી મુક્તિ મેળવી લે એ પછી તે ખરાં અર્થમાં સ્વતંત્ર અને હિંમતવાન બની શકે. ઓશો રજનીશ તો ત્યાં સુધી કહેતા કે સ્મશાન યા કબ્રસ્તાન લોકવસ્તીની વચ્ચે જ બંધાવું જોઈએ. લોકો ત્યાંથી રોજેરોજ પસાર થતા હોવા જોઈએ. જ્યારે કે આપણે સ્મશાન ઘરોથી દૂર–દૂર બાંધતા હોઈએ છીએ. એ તરફ જવાનું યા જોવાનું પણ બને ત્યાં સુધી ટાળીએ છીએ.

મોતનો હાઉ કેવો હોય છે?
આપણે ઘણીવાર કોઈ મરણ આપણી નજર સામે ઘટે તોય ગભરાઈ જઈએ છીએ, કેમ કે બીજાના મોતને જોયા બાદ તરત આપણને આપણા મોતની યાદ આવી જાય છે. તેથી જ ઘણા લોકો લાશ પાસે વધુ સમય બેસતા કે જતા પણ ડરે છે. જે શરીરમાં હવે જીવ નથી એ શરીર ઘરમાંથી લઈ જવાની પણ ઉતાવળ થતી હોય છે. ઈન શોર્ટ, મોત એટલે એવો ભયાનક ડર કે તેના વિશે સાંભળીને યા વાંચીને પણ માણસો ચિંતામાં મુકાઈ જાય છે.


માણસની પોતાની વાત આવે છે ત્યારે કોરોના યા અન્ય કોઈ પણ કારણસર મોતથી ડરતા લોકો જ્યારે બીજા માણસોને યા પ્રાણીઓને પોતે મારી નાખે છે ત્યારે તેમને કોઈ સંવેદના થતી નથી, કિન્તુ પોતાનું મોત સામે દેખાય કે તેનો ભય પણ આવી જાય તો તેમની હાલત બૂરી થઈ જાય છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો દરેકને પોતાના ભગવાન યાદ આવી જાય છે. અત્યારે આપણે જોઈએ છીએ કે જગતના તમામ દેશો કેવા ગભરાયા છે. માણસોની હેરફેર અટકાવી દીધી, એકેક માણસની ચકાસણી થઈ રહી છે. સૂચના અને માહિતીના ભંડાર ફરવા લાગ્યા છે. આ જ માણસોને રોડ અકસ્માતમાં રોજના લાખો લોકો મરી જાય છે તેનો વિચાર નથી આવતો.

કૅન્સર, ટીબી, ડાયાબિટીસ, હાર્ટ-અટેક, કિડનીની સમસ્યા, એઈડસ વગેરે જેવા રોગોથી મરી જનારા પણ રોજના લાખો છે. જ્યારે કે કોરોનામાં તો હજી સમગ્ર વિશ્વમાં એકાદ લાખને અસર થઈ છે અને પાંચેક હજાર માણસો મરણને શરણ થયા છે, ત્યાં તો આખા વિશ્વની જાણે બોલતી બંધ થઈ ગઈ છે. માથે મોત ભમતું દેખાય તો માનવ કેટલા વામણા થવા લાગે છે તેના અનેક પુરાવા હાલ નજર સામે જોવા-વાંચવા-સાંભળવા મળે છે.

બીજા જીવો પ્રત્યે ક્રૂરતા શા માટે?
અરે ભલા માણસ, બધાએ એક દિવસ જવાનું જ છે. કોઈને અહીં કાયમ રહેવા મળતું નથી. કોરોના નહીં લઈ જાય તો બીજું કોઈ લઈ જશે. એનો અર્થ એ નથી કે માણસે સામે ચાલી કોરોનાને આમંત્રણ આપવું, પરંતુ માણસે આવા સમયે જીવન પ્રત્યે વધુ સંવેદનશીલ
બનવું જોઈએ. બીજા તમામ જીવો

પ્રત્યે ક્રૂર અને વિનાશક બનતા પહેલાં વિચાર કરવો જોઈએ. કોરોનાની શરૂઆત જ્યાંથી થઈ તે ચીનના વુહાન શહેરમાં ત્યાંના લોકો (ચીના) જીવતા ઉંદર, સાપ સહિતના વિવિધ જીવોને ભોજન તરીકે આરોગતા રહ્યા છે. હવે જ્યારે આ કારણસર તેમનાં અને અન્યનાં મોત સામે આવી ગયાં તો આ જ માણસો ગભરાઈ ગયા! જ્યારે આ વાઇરસનો વ્યાપ વિશ્વમાં ફેલાવા લાગ્યો ત્યારે વિશ્વ આખું પણ ફફડવા લાગ્યું છે. આ ડર માત્ર મોતનો નથી, કિન્તુ મોતના ફેલાતા હાથનો છે. લટકતી તલવારનો છે, મોતની અનિશ્ચિતતાનો છે. આજે એક જણ પાસે છે, કાલે મારી પાસે આવી જશે તો એ વિચારનો ભય મોત કરતાં પણ વધુ કામ કરી રહ્યો છે.

નકારાત્મકતાનો અતિરેક બંધ કરો
કોરોના વાઇરસ કરતાં તેના ભયને ફેલાવવામાં સોશ્યલ મીડિયા વધુ મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. તેના વિશે વધુ પડતો હાઉ ફેલાવવામાં આવી રહ્યો છે. અગમચેતીનાં પગલાં લેવાય એ યોગ્ય છે, કિન્તુ તેના વિશે નકારાત્મક અતિરેકનો પ્રસાર-પ્રચાર બંધ કરવો જોઈએ. મૃત્યુ આપણને દરેકને આવવાનું છે, કયા દિવસે, કઈ રીતે, કઈ ઘડીએ આપણને ખબર નથી, ખબર પડશે પણ નહીં,
તેમ છતાં જો આ મૃત્યુ મહાશય આવવાના નક્કી છે. આપણો વારો કોઈ પણ ક્ષણે આવી શકે એટલું સત્ય ખરા અર્થમાં સમજાઈ જાય તો જીવન બદલાઈ શકે. કોરોનાને ભય તરીકે નહીં, માનવજગત માટે એક સંદેશ સમાન જોવું જોઈએ. જો તમને તમારા મૃત્યુના વિચારનો પણ ભય લાગે છે, તો તમે બીજા જીવને હણતા પહેલાં કેમ વિચાર કરતા નથી? બીજા જીવો પ્રત્યે કેમ ક્રૂર થઈ જાવ છો? કુદરત સાથે કેમ અન્યાય કે ચેડાં કરો છો? કુદરતની એક થપ્પડ પણ કેવી ભારે પડે છે એ સમજાઈ ગયું હોય તો જાગો, હવે તો જાગો...

ભગવાનનાં મંદિરો બંધ, માનવતાનાં મંદિરો ખુલ્લાં

આ સમયમાં એક નોંધપાત્ર વાત એ બની છે કે સંભવત પહેલીવાર ભગવાનનાં મંદિરો બંધ રાખવામાં આવ્યાં છે, જેથી ભક્તોની-દર્શનાર્થીઓની ભીડ ન થાય. અર્થાત જ્યાં માણસો બહુ શ્રદ્ધાપૂર્વક પોતાનાં દુઃખ-દર્દ લઈને એ દર્દ ટળે એવી આશાએ જતા હોય છે ત્યાં જવામાં પણ માણસો હાલ ગભરાઈ ગયા છે યા તેમને ડરાવવામાં આવ્યા છે. આમ માણસોએ જે ભગવાન અને તેના મંદિરો બનાવ્યાં છે ત્યાંના દરવાજા ભલે બંધ કરાયા હોય, કિન્તુ ભગવાને જે માણસો બનાવ્યા છે તેઓ અનેક દરદીઓની સેવા-સંભાળ પોતાના જીવના જોખમે પણ કરી રહ્યા છે. શું માણસમાં પરમાત્મા રહેતો હોય છે તેનો આ પણ એક પુરાવો ન ગણાય? 

Whatsapp-channel Whatsapp-channel

19 March, 2020 08:08 PM IST | Mumbai Desk | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK