સંકટના સમયે કોઈ ચૂંટણી વિશે કેવી રીતે વિચારી શકે છે? : ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરે
રાજ્યમાં પ્રવર્તતી પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણી પાછળ ઠેલવાની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના વડા રાજ ઠાકરેની માગણી બાબતે શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું કે આવા કપરા સમયમાં કોઈ ચૂંટણી વિશે કેવી રીતે વિચારી શકે?
પશ્ચિમ મહારાષ્ટ્ર અને કોંકણ વિસ્તારમાં રાહતસામગ્રી લઈ જતા વાહનને રવાના કરતી વખતે ઉદ્ધવ ઠાકરેએ પૂર સંબંધી કોઈ પણ વિવાદ પર ટિપ્પણી કરવાની ના પાડતાં કહ્યું હતું કે હાલમાં અમારું ધ્યાન વરસાદના પ્રકોપથી ત્રસ્ત લોકોને રાહત પહોંચાડવા પર છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : મુંબઈ : મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો રશિયાનો પ્રવાસ રદ
રાજ્યના જળ સંસાધન અને તબીબી શિક્ષણના કૅબિનેટ કક્ષાના પ્રધાન ગિરીશ મહાજને પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત બાદ સોશ્યલ મીડિયા પર વિડિયો પોસ્ટ કરીને વિવાદ સરજ્યો હતો. આ ઉપરાંત એનસીપી અને કૉન્ગ્રેસે રાજ્ય સરકાર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં વહેંચવામાં આવેલાં ફૂડ-પૅકેટ્સ પર મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો ફોટો ધરાવતાં સ્ટિકર્સ સંબંધે ‘બેશરમીભર્યા સસ્તા પ્રચાર’નો આક્ષેપ મૂકવા પર ટિપ્પણી કરવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમણે ઉપરોક્ત નિવેદન કર્યું હતું.