Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વહુઓ પારકી નથી - (લાઇફ કા ફન્ડા)

વહુઓ પારકી નથી - (લાઇફ કા ફન્ડા)

13 May, 2020 10:34 PM IST | Mumbai
Heta Bhushan | feedbackgmd@mid-day.com

વહુઓ પારકી નથી - (લાઇફ કા ફન્ડા)

વહુઓ પારકી નથી - (લાઇફ કા ફન્ડા)


એક સયુંકત પરિવાર. સાસુ-સસરા, ચાર ભાઈઓ, તેમની પત્ની અને બાળકો મળીને ૧૬ જણ સાથે એક જ છત નીચે રહે. બધા જુદો જુદો વ્યવસાય કરે અને ઘરની ચાર વહુઓ પણ ભણેલી. ઘરનું કામ સાથે મળી સમજીને સંભાળે અને પોતપોતાનું કામ પણ કરે અને કંઈક કામ કરીને પૈસા પણ કમાય અને બચત પણ કરે. બધા સાથે મળી એકદમ ખુશ અને મજાથી રહે. ઘરના મોભી વડીલ સસરાજીનું અને સાસુમાનું બધા માન જાળવે ને દરેક નિર્ણય સમજી વિચારી સાથે મળીને લે. કોઈ પણ વાતની કોઈ પણ જબરદસ્તી કરવામાં ન આવે.
એક દિવસ ઘરમાં સાસુમાનાં મોટા બહેન આવ્યાં. તેમની નાની બહેનના ઘરનું સુંદર વાતાવરણ જોયું. તેમણે જોયું કે રોજબરોજની રસોઈ હોય કે કોઈ મોટો નિર્ણય - બધા સાથે મળી બેસીને નક્કી કરતા. તેમને હતું ચાર-ચાર વહુઓ છે તો તો ઝઘડા રોજ થતા હશે, પણ તેમને આવ્યાને અઠવાડિયું થવા આવ્યું, કોઈ મોટા અવાજે એકબીજા સાથે બોલતું પણ નહોતું અને વાતાવરણમાં ખુશી અને આનંદ જ આનંદ હતો.
એક દિવસ તેઓ પોતાની નાની બહેનને એકલા રૂમમાં લઈ જઈને સલાહ આપવા મંડ્યા કે તે વહુઓને બહુ માથે ચઢાવી છે. તેમને શું કામ બધું પૂછવાનું? આપણે જે કહીએ તેમ જ તે લોકો કરે એવો દાબ હોવો જોઈએ. નાની બહેન હસી અને બોલી, ‘બહેન ખરાબ ન લગાડશો પણ તમે બહુ દાબ રાખ્યો હતો તમારી બે વહુઓ પર...શું થયું, બન્ને તમને છોડીને ચાલી ગઈ. બહેન, આ વહુઓ પણ દીકરી જ છે અને એક વ્યક્તિ પણ અને ભણેલી-જાણકાર પણ, તો પછી કોઈ પણ વાતમાં તેમનો મત જાણવો જરૂરી છે અને આ તેમનો હક્ક પણ છે. વહુઓ પોતાનું ઘર છોડી આ ઘરમાં આવી છે અને આ ઘરને પોતાનું માન્યું છે. આ ઘરનું બધું કામ એ લોકો કરે છે, ઘરમાં કંઈ પણ ફેરફાર થાય, બીમારી આવે, મહેમાન આવે, પ્રસંગ આવે સૌથી વધારે કામ અને ફેરફાર તેમના જીવનમાં આવે છે તો પછી શું કામ તેમને કંઈ નહીં પૂછવાનું? શું કામ તેમની સામે વાતો નહીં કરવાની?’
મોટી બહેને કહ્યું, ‘અરે પણ વહુ તો પારકી જ ગણાય, તેની સામે બધી વાતો ન કરાય એટલું તો સમજ.’
ચાર વહુઓની સાસુ, નાની બહેને જવાબ આપ્યો ‘ના હું નથી માનતી કે વહુઓ પારકી છે. એ લોકો છે તો જ આ ઘર-પરિવાર ચાલે છે, આ જીવન ચાલે છે અને તેઓ ખુશ છે ને ઘરમાં ઝઘડા થતા નથી એટલે જ ઘરમાં શાંતિ છે અને જ્યાં શાંતિ હોય ત્યાં ખુશી જ હોય.’ ચારે વહુઓ બહારથી આ વાત સાંભળતી હતી, અંદર આવી સાસુમાને ભેટી પડી.


Whatsapp-channel Whatsapp-channel

13 May, 2020 10:34 PM IST | Mumbai | Heta Bhushan

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK