ઉદ્ધવ ઠાકરેને જન્મદિવસે હેમરાજ શાહે આપ્યાં વધામણાં
ઉદ્ધવ ઠાકરેને જન્મદિવસે હેમરાજ શાહે આપ્યાં વધામણાં
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે ૬૦ વર્ષના થયા હતા અને મુંબઈના ગુજરાતી સમાજના અગ્રણી હેમરાજ શાહે તેમને જન્મદિવસ નિમિત્તે વધામણી આપી હતી.
મહારાષ્ટ્ર અત્યારે કોરોના વાઇરસના કારમા સંકટમાં ફસાયેલું છે ત્યારે આવી સ્થિતિમાં રાજ્યનું મુખ્ય પ્રધાન તરીકે નેતૃત્વ કરીને સંકટમાંથી બહાર ખેંચી લઈ જવા માટે ઉદ્ધવ ઠાકરે દ્વારા કરવામાં આવતાં કામને હેમરાજ શાહે બિરદાવ્યાં હતાં.
હેમરાજ શાહ પોતે પાંચ દાયકાથી વધુ સમયથી સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને રાજ્ય સરકાર દ્વારા અનેક વખત તેમને વિવિધ સમિતિઓ જેમ કે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી, રિપેર બોર્ડ, સાંઈબાબા સંસ્થાન-શિર્ડી, સેલ્સ ટૅક્સ ઍડ્વાઇઝરી કમિટી વગેરે પર સ્થાન આપીને સન્માનિત કરવામાં આવ્યા છે.
રાજ્યમાં અને મુંબઈ શહેરમાં ગુજરાતીઓ માટે કામ કરવા માટે તેમણે અનેક પ્રયાસ કર્યા છે અને મહારાષ્ટ્ર ગુજરાતી સમાજ મહામંડળ, બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ અને બુક મૅન્યુફેક્ચરર્સ અસોસિએશન, મુંબઈના તેઓ પ્રમુખ છે. આ ઉપરાંત વિશ્વ ગુજરાતી સમાજના સિનિયર ઉપાધ્યક્ષ છે.
ગુજરાતી સમાજ પ્રત્યેના તેમના યોગદાનને ધ્યાનમાં લઈને જ શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ તેમનો શિવસેનામાં પ્રવેશ કરાવ્યો હતો અને અત્યારે તેઓ શિવસેનામાં રાષ્ટ્રીય સંઘટક અને પ્રવક્તા તરીકેના પદે છે.
ઉદ્ધવ ઠાકરે અત્યારની કટોકટીની પળમાંથી રાજ્યને સુખરૂપ બહાર લઈ આવશે એવો વિશ્વાસ હેમરાજ શાહે વ્યક્ત કર્યો હતો.