હાથરસ પીડિતાને તેની મા-ભાઈએ જ મારી છે, જેલમાંથી આરોપીએ લખ્યો SPને પત્ર
હાથરસ રૅપ કેસ
ઉત્તર પ્રદેશના હાથરસમાં દલિત કન્યા પર બળાત્કાર બાદ તેની હત્યાની ઘટનાની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ને સોંપવાની માગણી કરતી અરજી નૉન-ગવર્નમેન્ટ ઑર્ગેનાઇઝેશન (એનજીઓ)એ સર્વોચ્ચ અદાલતમાં કરી હતી. સંસ્થાએ હસ્તક્ષેપ અરજીમાં જણાવ્યું હતું કે અત્યાચારનો ભોગ બનેલા જે લોકો સરકારી તંત્રની ધમકીઓ અને હેરાનગતિથી પરેશાન હોય એવા લોકો જોડે કામ કરવાનો તેમને અનુભવ છે. આ મામલે ગઈ કાલે વધુ એક ટ્વિસ્ટ આવ્યો હતો જ્યારે જેલમાંથી આ કેસના આરોપીએ એવો પત્ર લખ્યો છે કે તેઓ નિર્દોષ છે તથા તેમને આ મામલા સાથે કશાય લેવાદેવા નથી. આ કેસના મુખ્ય આરોપી સંદીપે તો પત્રમાં એવું પણ લખ્યું છે કે પીડિતાને તેની માતા અને ભાઈએ જ મોતને ઘાટ ઊતારી છે.
સિટિઝન્સ ફૉર જસ્ટિસ ઍન્ડ પીસ નામના એનજીઓએ બળાત્કારના કેસિસમાં સાક્ષીઓના રક્ષણ, મૃતકના અધિકારો, નાર્કો-ઍનૅલિસિસ ટેસ્ટ, સરકારી તંત્રોના અમલદારોનાં નિવેદનો, મૃત્યુ વેળાનું નિવેદન, ફૉરેન્સિક રિપોર્ટ્સની સંબંધ્ધતા વગેરે મુદ્દા ઉપસ્થિત કરતાં સીબીઆઇ દ્વારા તપાસ હાથ ધરવાની માગણી કરી હતી. વરિષ્ઠ પોલીસ અમલદારો અને લોકપ્રતિનિધિઓ આ ક્રૂર અપરાધનું મહત્ત્વ ઘટાડવાના પ્રયાસો કરતા હોવાની હકીકતને ધ્યાનમાં રાખતાં હસ્તક્ષેપ અરજી કરી હોવાનું સિટિઝન્સ ફૉર જસ્ટિસ ઍન્ડ પીસ સંસ્થાએ જણાવ્યું હતું.