Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હાથરસ ગેંગરેપ કેસ: પરિવારજનોએ કર્યો ચોંકાવનારો દાવો, મીડિયાને એન્ટ્રી

હાથરસ ગેંગરેપ કેસ: પરિવારજનોએ કર્યો ચોંકાવનારો દાવો, મીડિયાને એન્ટ્રી

03 October, 2020 03:14 PM IST | Uttar Pradesh
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

હાથરસ ગેંગરેપ કેસ: પરિવારજનોએ કર્યો ચોંકાવનારો દાવો, મીડિયાને એન્ટ્રી

હાથરસમાં આજે મીડિયાને પ્રવેશ આપવામાં આવ્યો છે (તસવીર સૌજન્ય: એએનઆઈ)

હાથરસમાં આજે મીડિયાને પ્રવેશ આપવામાં આવ્યો છે (તસવીર સૌજન્ય: એએનઆઈ)


ઉત્તર પ્રદેશ સ્થિત હાથરસમાં દલિત યુવતી પર થયેલા ગેંગરેપની પીડિતાના પરિવારે શનિવારે સ્પેશ્યલ ઈનવેસ્ટિગેશન ટીમ (SIT) પર આરોપીઓ સાથે મળેલા હોવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ પરિવારે માંગણી કરી છે કે આની તપાસ સુપ્રીમ કોર્ટ (ની દેખરેખ હેઠળ કરવામાં આવે. જ્યારે આ કેસમાં આખરે પ્રશાસને મીડિયાને પીડિતાના પરિવારને મળવાની અનુમતિ આપી દીધી છે.

મીડિયા સાથેની વાતચીતમાં પીડિતાની માતાએ કહ્યું હતું કે, 'અનેક વિનંતી છતાં એ લોકોએ છોકરીનું શરીર જોવા દીધું ન હતું. અમે સીબીઆઈ તપાસ પણ નથી ઈચ્છતા. અમે ઈચ્છીએ છીએ કે, મામલાની તપાસ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની દેખરેખ હેઠળ થાય. અમે નાર્કો ટેસ્ટ શા માટે કરાવીએ? અમે અમારું નિવેદન ક્યારેય નથી બદલ્યું.' ઉલ્લેખનીય છે કે, બે દિવસ પછી જિલ્લા તંત્રએ શનિવારે સવારે મીડિયાને હાથરસમાં પ્રવેશ કરવાની છૂટ આપી હતી.



જ્યારે પીડિતાની ભાભીએ કહ્યું હતું કે, 'સૌથી પહેલા પોલીસે એ વાતનો ખુલાસો કરવો જોઈએ કે ,એ રાત્રે કોના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એ અમારી છોકરીનું શરીર ન હતું, અમે તેનો જોઈ નથી. અમે નાર્કો ટેસ્ટ શા માટે કરાવીએ? અમે સાચું કહી રહ્યા છીએ. અમે ન્યાય માંગી રહ્યા છીએ. ડીએમ અને એસપીનો નાર્કો ટેસ્ટ કરવરામાં આવે. એ લોકો ખોટું બોલી રહ્યા છે.'


મૃતકના દાદા અંતિમ સંસ્કારમાં હાજર રહેવાના સમાચારોનું ખંડન કરતા મૃતકની ભાભીએ કહ્યું કે, 'છોકરીના દાદાનું વર્ષ 2006માં નિધન થયું છે. કોઈ કઈ રીતે દાવો કરી શકે તે તેઓ અંતિમ સંસ્કારમાં હાજર હતા? કાલે (શુક્રવારે) એસઆઈટી અમારા ઘરે ન્હોતી આવી. સીટની ટીમ ગુરુવારે આવી હતી. ટીમ સવારે નવ વાગ્યાથી બપોરના 2.30 વાગ્યા સુધી અહીં હતી. જિલ્લા કલેક્ટર સતત એવું કહી રહ્યા છે કે છોકરીનું મોત કોરોના વાયરસને કારણે થયું હતું, આ કારણે અમને મીડિયા સાથે વાતચીત કરવાથી અને બહાર જતા રોકવામાં આવી રહ્યા છે. અમારી છોકરીનું શરીર અમને શા માટે ન બતાવવામાં આવ્યું? અમે એસઆઈટી પર વિશ્વાસ ન કરી શકીએ, કારણ કે એસઆઈટીની તંત્ર સાથે મિલીભગત છે'.

એટલું જ નહીં, પીડિતાની ભાભીએ ડીએમ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે, 'જયારે તેઓએ ડીએમ સમક્ષ મૃતદેહ જોવા માંગ કરી તો તેમણે જણાવ્યું કે તમને ખબર છે પોસ્ટમોર્ટમ બાદ ડેડબોડી કેવી થઈ જાય છે. હથોડા મારી મારીને હાડકા તોડી દેવામાં આવે છે. આવી લાશને તમે લોકો જોઈ શકત? દસ દિવસ સુધી ખાવાનું પણ ન ખાઈ શકત. ડીએમ તેમને વારંવાર કહી રહ્યા હતા કે તેમને વળતર મળી જશે. તમારા ખાતામાં કેટલા રૂપિયા આવશે તમને ખબર છે?'.


પીડિતાનો પરિવાર સતત ન્યાયની જ માગણી કરી રહ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

03 October, 2020 03:14 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK