‘વાયું’ વાવાઝોડાને પગલે રાજકોટ એસટી કર્મચારીઓની રજાઓ રદ્દ : એલર્ટ
રાજકોટ એસ.ટી. સ્ટેન્ડ
ગુજરાતમાં અત્યારે ‘વાયું’ વાવાઝોડાને લઇને સમગ્ર રાજ્યમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને દરીયા કિનારાના શહેરમાં ખાસ તકેદારી શરૂ કરી દીધી છે. ત્યારે આજે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી ડિવિઝન વાવાઝોડાની આગાહીના પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તમામ સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે. તેમજ હેડ કવાર્ટર નહી છોડવા માટે આદેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
રાજકોટ એસટી ડિવિઝનના અધિકારીઓએ શું કહ્યું
રાજકોટ એસટી ડિવિઝન કચેરીના અધિકારી સુત્રોએ જણાવ્યું હતું કે, ડિવિઝનના તમામ 9 ડેપો જેમાં રાજકોટ, ગોંડલ, મોરબી, જસદણ, વાંકાનેર, ચોટીલા, લીમડી, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર સહિતના ડેપો મેનેજરોને ‘સ્ટેન્ડ ટુ’ રહેવા સુચના આપવામાં આવી છે. તેમજ ડિવિઝન કચેરીમાં કાર્યરત કમાન્ડ એન્ડ કંટ્રાેલ રૂમને સતર્ક રહેવા અને જીપીએસથી બસના લોકેશન ટ્રેસ કરતા રહેવા તાકિત કરવામાં આવી છે.
રાજકોટની સ્કુલોમાં રજા જાહેર
સૌરાષ્ટ્ર પર વાયુ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. વાયુ વાવાઝોડું હવે ગુજરાતના દરિયાકાંઠેથી માત્ર 700 કિલોમીટર જેટલું જ દૂર રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારે સંબંધિત તમામ વિભાગોને એલર્ટ પર મૂકી દીધા છે. રાજ્યના દરિયા કાંઠે સલામતીના પગલાં લેવાઈ રહ્યા છે. રાજકોટમાં 13 જૂનના રોજ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ છે. સલામતીના ભાગ રૂપે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે 13 જૂનના રોજ શાળા અને કોલેજો બંધ રાખવા આદેશ કર્યો છે.
ADVERTISEMENT
મુખ્ય સચિવે બોલાવી બેઠક
રાજ્યના મુખ્ય સચિવે સ્થિતિને જોતા બપોરે બેઠક બોલાવી છે. રાજ્યના મુખ્ય સચિવ સાથે તમામ વિભાગના સચિવો બેઠક કરશે અને સ્થિતિનો તાગ મેળવશે. સાથે તેની સાથે લડવાની તૈયારીઓની પણ સમીક્ષા કરશે.