Corona virus: શામળાજીના મંદિરમાં ભક્તો પર ગુલાલ સાથે સુરક્ષા માટે હળદર
શામળાજી ભગવાનનાં દર્શન માટે આવેલાઓને રંગ સાથે મળે છે હલદરનો છંટકાવ
હોળીનો તહેવાર હોય અને કાન્હાના નિશ્રામાં હોળી ન રમાય એ તો શક્ય જ નથી. કોરોના વાઇરસનાં ડર સામે કાન્હાની ભક્તિ વધારે મજબુત હોય છે તે સ્વાભાવિક છે પણ છતાંય મંદિરના વ્યવસ્થાપકો ભક્તો માટે પોતાનાથી બનતી બધી જ તકેદારી તો રાખવાનાં જ છે. આપણે બધાં 'શામળાજીને મેળે, રમઝણીયું રે પૈંઝણીયું' વાગે એ ગીતથી પરિચિત છીએ જ. અહીં જે શામળાજીનો ઉલ્લેખ છે તે અરવલ્લી જિલ્લાનાં ભિલોડ તાલુકામાં આવેલો શ્રી હરી વિષ્ણુ શેઠ શામળિયા અવતારનું ધામ છે. અહીં શામળિયા ભગવાનની છ ફૂટ ઉંચી પ્રતિમા છે છે અને આ સાબરકાઠામાં ત્રિવેણી સંગમ પાસે આવેલું આ સ્થાનક 700 વર્ષ જુનું છે. દર વખતે હોળી હોય ત્યારે દર્શનાભિલાષી ભક્તો પર મંદિરમાંથી રંગો અને પાણીની છોળો ઉછાળવામાં આવે છે અને ભક્તો આ ક્ષણોની આતુરતાથી રાહ જોતા હોય છે. જો કે દર વખત કરતાં ઓછા ભક્તો હોવા છતાં આજે સવારે ભક્તો જે અહીં આ અનુભવ કરવા લાંબી કતારોમાં ઉભા છે. આ ભક્તોને કોરોના વાઇરસ સામે પ્રોટેક્શન આપવાના આશયથી અબીલ ગુલાલની સાથે મંદિરમાંથી હળદરની છોળો ઉડાડવામાં આવી રહી છે. મંદિર વ્યવસ્થાપકોનાં મતે હળદરમાં એન્ટિમાઇક્રોબાયલ ગુણ હોવાને કારણે જો તેનો ઉપયોગ થાય તો કોઇપણ પ્રકારનો વાઇરસ દૂર રહે છે.