જામનગરમાં નૉનવેજની ૬૦થી વધુ રેંકડીઓ બંધ
જામનગર શહેરના અનેક વિસ્તારોમાં નૉનવેજની રેંકડીઓ મોડી રાત સુધી ખુલ્લી રહે છે અને ત્યાં લુખ્ખાં તત્ત્વો એકત્ર થઈને તકરાર કરતા હોય છે અને ક્યારેક ઘટનાઓને મોટું સ્વરૂપ આવી જતું હોવાથી આવાં તત્ત્વોને કાબૂમાં રાખવા તેમ જ લુખ્ખાં તત્ત્વોને એકત્ર થતાં રોકવા માટે શહેરની તમામ નૉનવેજની રેંકડીઓને દૂર કરવાનો મહાનગરપાલિકા દ્વારા નિર્ણય લેવાયો છે.
રાજપૂત સમાજ દ્વારા રેલી યોજી નૉનવેજની રેંકડીઓને બંધ કરવા માટે આવેદનપત્ર અપાયા પછી જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા સાત રસ્તા સર્કલમાંથી પાંચ રેંકડીઓ કબજે કરાઈ હતી. ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં નૉનવેજની રેંકડીઓ બંધ કરાવવા માટે કાર્યવાહી હાથ ધરી રાત્રિ પૅટ્રોલિંગ શરૂ કરાયું હતું. જેના ભાગરૂપે શહેરમાંથી ૬૦ જેટલી નૉનવેજની રેંકડીઓ હાલમાં બંધ થઈ ગઈ છે.