દાહોદ સામૂહિક હત્યાકાંડ : અંગત અદાવતની પ્રબળ આશંકા
પ્રતિકાત્મક તસવીર
દાહોદ જિલ્લાના સંજેલી નજીક આવેલા તરકડા મહુડી ગામમાં પતિ-પત્ની અને ૪ બાળકો સહિત એક જ પરિવારના ૬ સભ્યોની હત્યાથી ચકચાર મચી જવા પામી છે. સંજેલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં જ ગામલોકોનાં ટોળેટોળાં એકત્રિત થઈ ગયાં હતાં.
દાહોદના એસ. પી. હિતેશ જોયસરે જણાવ્યું હતું કે તમામ મરનારા એક જ પરિવારના હોવાનું મનાઈ રહ્યું છે. મરનારામાં પતિ, પત્ની અને તેમનાં ચાર સંતાનો હોવાની સંભાવના છે. જોકે પોલીસ તેમની ઓળખ કરી રહી છે. ગળા કપાયેલી હાલતમાં લાશો મળતાં પોલીસ સ્થળ પર પહોંચી ગઈ છે અને આ મામલે તપાસ કરી રહી છે. તરકડા મહુડી ગામમાં રહેતો આદિવાસી પરિવાર મજૂરી કામ કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પાંચ મૃતદેહ ગામના કાચા મકાનમાંથી મળી આવ્યા છે, જ્યારે એક મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો છે. ઘટનાસ્થળે પહોંચેલી સંજેલી પોલીસે હત્યાકાંડની તપાસ હાથ ધરી છે અને પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં હત્યાકાંડ સર્જાયાની પોલીસને આશંકા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ગ્રામજનો અને પરિવારના અન્ય સભ્યોની પૂછપરછ શરૂ કરી છે.