વડોદરા આફત માટે રાજ્ય સરકારે 2 કરોડની સહાયની જાહેરાત કરી
વડોદરામાં ભારે વરસાદ
Mumbai : મેઘરાજાએ વડોદરા શહેરમાં જે રીતે બેટીંગ કરી ત્યાર બાદ આખું શહેર પાણીમાં ગરકાવ થઇ ગયું હતું. જોકે હજુ સુધી સમગ્ર શહેરમાંથી પાણી ઓસર્યા નથી. શહેરમાં ઘણા વિસ્તારોમાં કેડસમા પાણી ભરાયા છે. આર્મી, NDRF ટીમ ખડે પગે શહેરની જનતાને બચાવવા માટે રાહત-બચાવ કાર્યોમાં લાગી છે. ત્યારે સમગ્ર શહેરની પરીસ્થિતીની સમીક્ષા બેઠક બાદ મુખ્ય સચિવ ડો. જે.એન. સિંહે જણાવ્યું કે, "રાજ્ય સરકારે વડોદરાને બે કરોડ રૂપિયાની સહાય આપવાનું નક્કી કર્યું છે.
વડોદરામાં આવેલી વરસાદી આફતના કારણે શહેરમાં જે પૂરનાં પાણી ભરાયાં છે તે બીજા દિવસે પણ હજુ ઓસર્યાં નથી. શહેરમાં અનેક જગ્યાએ હજુ કેડસમા પાણી છે તો કેટલીક જગ્યાએ ગોઠણડૂબ પાણી ભરાયેલાં છે. શહેરમાં NDRF, Army, પોલીસ, ફાયર બ્રિગેટની ટીમ શહેરના ખુણે ખુણે રાહત-બચાવનાં કાર્યો કરી રહ્યા છે.
સ્ટેટ કંટ્રોલ રૂમમાં શહેરની પરીસ્થિતીને લઇને સમીક્ષા થઇ
વડોદરાના પૂરની સમીક્ષા માટે સ્ટેટ કન્ટ્રોલ રૂમમાં મુખ્ય સચિવ ડો. જે.એન. સિંહના અધ્યક્ષ સ્થાને એક બોઠક યોજાઈ હતી. તેમણે વડોદરામાં મોકલવામાં આવેલા IAS અધિકારીઓ અને રાહત-બચાવ કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા શહેરમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરી હતી. સ્ટેટ કંટ્રોલ રૂમ માં યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર,પાણી પુરવઠા વિભાગના સચિવ જે પી ગુપ્તા સહિતના અધિકારીઓ હાજર રહ્યા. બેઠકમાં રાજ્ય વહીવટી તંત્ર દ્વારા વડોદરામાં બચાવ કામગીરી અને રાહત કામગીરી વધુ ઝડપી કરવાના આદેશો આપવામાં આવ્યા હતા.
આ પણ જુઓ : રાજકોટ પર મેઘો થયો મહેરબાન, ચાર કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ
રાજ્ય સરકારે વડોદરાને બે કરોડની સહાય આપવાનું જાહેર કર્યું
સમીક્ષા બેઠક બાદ મુખ્ય સચિવ ડો. જે.એન. સિંહે જણાવ્યું કે, "રાજ્ય સરકારે વડોદરાને બે કરોડ રૂપિયાની સહાય આપવાનું નક્કી કર્યું છે. કેશડોલ માટે એક કરોડ અને ઘરોમાં થયેલા નુકસાન માટે એક કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત, જો વધુ જરૂર પડશે તો બીજા રૂપિયા પણ રાજ્ય સરકાર ફાળવશે. આજવા ડેમમાંથી પાણી છોડતા પહેલા તમામ નીચાણવાળા વિસ્તારોને જાણ કરવામાં આવી હતી."
શહેરમાં અત્યાર સુધી કુલ 6998 લોકોને રેસ્ક્યુ કરાયું છે
"શહેરમાં અત્યાર સુધી 6998 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. શહેરમાં હવે રેસ્ક્યુ ઓપરેશન લગભગ પૂરું થઈ ગયું છે. મુંબઈ-દિલ્હીનો ટ્રેન વ્યવહાર રાબેતા મુજબ શરૂ થઈ ગયો છે અને વડોદરાનું એરપોર્ટ પણ ચાલુ થઈ ગયું છે."
આ પણ જુઓ : વડોદરામાં મેઘાના વરવા સ્વરૂપથી પૂરની સ્થિતિ, વરદાન બનીને આવી NDRFની ટીમ
જે.એન. સિંઘે આગણની રણનીતિ અંગે જણાવ્યું કે, "વડોદરા શહેરમાં હવે સફાઈની કામગીરી ઉપર વહીવટી તંત્ર દ્વારા ફોકસ કરવામાં આવશે. વડોદરા શહેર ઉપરાંત સુરત અને આજુબાજુના વિસ્તારોની સફાઈ ટીમોને વડોદરામાં તૈનાત કરાશે. શહેરમાંથી પૂર દરમિયાન 840 ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જેમની આગામી 15 દિવસમાં ગમે ત્યારે ડિલીવરી થઈ શકે છે. વડોદરામાં 5 માનવ મૃત્યુ થયા છે, પરંતુ પશુ જાનહાનીના કોઈ સમાચાર નથી."