કોરોનાએ લીધો ભાજપના નેતા અને ગુજરાતના પૂર્વ એડિશનલ ડીજીપી એઆઈસૈયદનો ભોગ
ગુજરાતના પૂર્વ એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) એ.આઈ.સૈયદ
ગુજરાતના પૂર્વ એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) એ.આઈ.સૈયદનો કોરોનાએ ભોગ લીધો છે. મંગળવારે સાંજે તેમનું મૃત્યુ થયું છે. એ.આઈ.સૈયદ વકફ બોર્ડના ચેરમેન પદે સેવા આપી ચુક્યા છે. આ સિવાય તેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા પણ રહી ચૂક્યા છે.
મંગળવારે સાંજે નિવૃત એડી.ડીજીપી એ.આઈ.સૈયદે એપોલો હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. નિવૃત થયા બાદ તેઓ ભાજપમાંથી કોર્પોરેશન ઈલેક્શન પણ લડ્યા હતા. જોકે રાજકારણમાં સફળ થઈ શક્યા નહોતા. તેમના પરિવારમાં પત્ની, બે દીકરી અને એક દીકરો છે. તેમનો પુત્ર હાલ વડોદરા ખાતે રહે છે જ્યારે મોટી પુત્રી અમેરિકામાં ડોકટર તરીકે પ્રેક્ટિસ કરે છે. નાની દીકરી ડેન્ટિસ્ટ છે.
ADVERTISEMENT
એડી.ડીજીપી એ.આઈ.સૈયદની કારર્કીદીની વાત કરીએ તો તેઓ ગાંધીનગર પોલીસ ભવનમાં ડીજીપી અને અમદાવાદ શહેરમાં ટ્રાફિક ડીસીપી અને જોઈન્ટ કમિશનર તરીકે એડમીન વિભાગમાં ફરજ બજાવી ચુક્યા છે. 2002ના તોફાનોમાં તોફાનીઓએ તેમના પર હુમલો કર્યો હતો ત્યારે તેઓ નોકરીથી સરકારી ગાડીમાં ઘરે જઈ રહ્યા હતા. જોકે પોલીસ કાફલો પહોંચી જતા તેઓનો બચાવ થયો હતો. હુમલા બાદ પણ જીવનું જોખમ હોવા છતાં સૈયદે હિંમત દાખવી તોફાનીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.