અમદાવાદમાં 27 વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા બાદ લોકડાઉન
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદમાં કોરોના વાઇરસના પગપેસારાને ફેલાતો અટકાવવા માટે ઑફિસર ઑન સ્પેશ્યલ ડ્યુટી ડૉ. રાજીવ ગુપ્તા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ અમદાવાદ શહેરના ૨૭ વિસ્તારોમાં રાત્રે ૧૦ વાગ્યા પછી કોઈ પણ દુકાન ખુલ્લી નહીં રહે, જેમાં દવાની દુકાનો અપવાદ છે. અમદાવાદમાં કૅફે અને રેસ્ટોરાંના એ.પી. સેન્ટર ગણાતા આ રંગીલા વિસ્તારોમાં યુવાનોનાં ટોળાં જામતાં હોવાની રાવ ઊઠી હતી અને એના કારણે કોરોનાનો ફેલાવો વધી રહ્યો હતો.
જોકે વધુ સ્થિતિ વણસે એ પહેલાં ગુપ્તાએ લૉકડાઉનનો એક નિયમ પકડીને એને લાગુ કરી દીધો છે. દેશમાં અનલૉક ૫.૦૦ લાગુ થાય એ પહેલાં અમદાવાદમાં રાત્રે આ વિસ્તારોમાં ભીડ એકઠી ન કરવા દેવાની કવાયત શરૂ થઈ ગઈ છે. ગઈ કાલે બહાર પાડેલા એક આદેશમાં ડૉ. ગુપ્તાએ આ વિસ્તારોનાં નામ પણ આપી દીધાં છે.
ADVERTISEMENT
ગઈ કાલે સાબરમતી રીવરફ્રન્ટ ખાતે આવેલી કચેરીમાં યોજાયેલી બેઠકમાં પાલિકાના કમિશનર મુકેશ કુમાર અને જુદા-જુદા પદાધિકારીઓની હાજરીમાં ડૉ. ગુપ્તાએ આ નિર્ણય કર્યો છે, જેમાં કોવિડની ગાઇડલાઇન ભંગ થતી હોવાના કારણે આ વિસ્તારોમાં દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.