ભાવનગરમાં વિશ્વના સૌપ્રથમ સીએનજી ટર્મિનલના નિર્માણની કામગીરીનો આરંભ
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતના ભાવનગર ખાતે વિશ્વના સૌપ્રથમ સીએનજી ટર્મિનલની સ્થાપના કરવાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી નવેમ્બર – ૨૦૧૯માં મળેલી ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બોર્ડની બેઠકમાં આપ્યા બાદ ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ સીએનજી ટર્મિનલ પોર્ટ વિકસાવવા માટે લેટર ઑફ ઇન્ટેન્ટને મંજૂરી આપી છે. જેના પગલે આ પોર્ટના નિર્માણની કામગીરી શરૂ થશે.
ગુજરાત સરકારે ફોરસાઇટ ગ્રુપ, પદ્મનાભ મફતલાલ ગ્રુપ અને નેધરલૅન્ડમાં આવેલી બોસ્કાલીસના કન્સોર્શિયમને વિકાસકાર તરીકે આ બ્રાઉનફિલ્ડ પોર્ટ અંતર્ગત સીએનજી ટર્મિનલ વિકસાવવા મંજૂરી આપી છે. કન્સોર્શિયમ આ પ્રોજેક્ટ વિકસાવવાની કામગીરી માટે ડી.પી.આર. તૈયાર કરવાની અને પર્યાવરણ મંજૂરી મેળવવાની કામગીરી હાથ ધરશે, જેમાં ૧૮ માસ જેટલો સમય લાગશે અને ત્યારબાદ સ્થળ પર બાંધકામની કામગીરી ત્રણ વર્ષમાં પૂરી કરશે.
ADVERTISEMENT
ભાવનગર બંદરે નિર્માણ થનારા આ પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કે ૧૩૦૦ કરોડ રૂપિયાના મૂડીરોકાણથી પ્રતિ વર્ષ ૧૫ લાખ ટન ક્ષમતાનું સીએનજી ટર્મિનલ તેમ જ પ્રતિ વર્ષ ૪૫ લાખ ટન ક્ષમતાનું લિક્વિડ કાર્ગો ટર્મિનલ, કન્ટેનર અને વાઇટ કાર્ગો ટર્મિનલ તેમ જ રો–રો ટર્મિનલ વિકસાવવાનું આયોજન છે. આ સમગ્ર પ્રોજેક્ટ ૧૯૦૦ કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે આકાર પામશે. ભાવનગરમાં આ પોર્ટ વિકસાવવા ચૅનલ અને પોર્ટ બેઝિનમાં ડ્રેજિંગ, બે લોકગેટસનું બાંધકામ અને કિનારા પર સીએનજી ટ્રાન્સપોર્ટેશન માટેની ઇન્ફ્રાસ્ટ્રકચર ફૅસેલિટીઝ વિકસાવવામાં આવશે.