મધુ શ્રીવાસ્તવને ચૂંટણી પંચનો આદેશ : ત્રણ દિવસમાં ખુલાસો કરો
મધુ શ્રીવાસ્તવ
ગુજરાતમાં મતદારોને ધમકી આપવાનો વીડિયો વાઇરલ થયા બાદ ગઇ કાલે વડોદરા જિલ્લા ચૂંટણી પંચે ગુજરાત BJPના વાઘોડિયા મતવિસ્તારના વિધાનસભ્ય મધુ શ્રીવાસ્તવને જિલ્લા ચૂંટણી પંચે શોકોઝ નોટિસ પાઠવીને ત્રણ દિવસમાં આ મુદ્દે ખુલાસો કરવા આદેશ કર્યો છે.
ચૂંટણી પંચે BJPના વિધાનસભ્યને શોકોઝ નોટિસ પાઠવી ખુલાસો કરવા આદેશ કરતા વિધાનસભ્ય મધુ શ્રીવાસ્તવની મુશ્કેલી વધી શકે છે. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીની એક જાહેર સભામાં તાજેતરમાં મધુ શ્રીવાસ્તવે જાહેરમાં મતદારોને ‘ઠેકાણે પાડી દઇશું’ તેવા મતલબનું ધમકીભર્યું નિવેદન કર્યું હતું જેને લઇને ભારે વિવાદ સર્જાયો હતો. BJPના વિધાનસભ્ય મધુ શ્રીવાસ્તવના ભાષાપ્રયોગને લઇને કોંગ્રેસે ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ કરતાં ચૂંટણીતંત્ર હરકતમાં આવ્યું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચો : અમદાવાદ : માનહાનિ મામલે રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલાને નોટિસ
જિલ્લા ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલે ગઇકાલે મીડિયાને કહ્યું હતું કે ‘ફરિયાદના પગલે નોડલ ઓફિસરને તપાસ સોંપી હતી. તપાસ રિપોર્ટના આધારે શોકોઝ નોટિસ ઇસ્યુ કરી છે. નોટિસ મળેથી ત્રણ દિવસમાં ખુલાસો રજૂ કરવા જણાવ્યું છે.’