ડીપીએસની માન્યતા રદ થતાં વાલીઓમાં રોષ ભભૂક્યોઃસરકાર હસ્તક ચલાવવા માગ
પ્રતિકાત્મક તસવીર
હીરાપુરસ્થિત નિત્યાનંદ આશ્રમ મામલે વિવાદમાં આવેલી ડીપીએસ સ્કૂલની માન્યતા સીબીએસઈ દ્વારા રદ કરી દેવામાં આવી છે, જેના પગલે સોમવારે સવારથી જ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ સ્કૂલે રજૂઆત કરવા પહોંચ્યા હતા. ત્યાર બાદ વાલીઓ અને શાળાના પ્રિન્સિપાલ વચ્ચે યોજાયેલી બેઠકમાં પ્રિન્સિપાલે વાલીઓને હૈયાધારણા આપી છે કે આજથી ધો. ૧થી ૮ રાબેતા મુજબ શરૂ કરાશે. અન્ય વર્ગો શરૂ કરવા માટે શિક્ષણ વિભાગને રજૂઆત કરાશે. જ્યારે વાલીઓએ જણાવ્યું હતું કે તેમનાં બાળકોના ભવિષ્ય પર અસર ન થવી જોઈએ. મૅનેજમેન્ટની ભૂલ હોય તો તેઓ જેલમાં જાય.
તેમ જ વાલીઓએ માગ કરી હતી કે સરકાર પોતાના હસ્તક આ સ્કૂલ લઈ અને ચલાવે અને જો આ માગ નહીં સ્વીકરવામાં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. વાલીઓની એવી પણ રજૂઆત હતી કે સ્કૂલ અને સીબીએસઈ વચ્ચેના વિવાદમાં તેમનાં બાળકોનું ભવિષ્ય અંધકાર તરફ ધકેલાઈ રહ્યું છે.
આ પણ જુઓઃ Devoleena Bhattacharjee: 'ગોપી વહુ'નો આ અવતાર ઉડાવી દેશે તમારા હોશ
ADVERTISEMENT
સીબીએસઈ દ્વારા ડીપીએસની માન્યતા રદ કરવા અંગેનો નિર્દેશ જાહેર થતાં જ સ્કૂલ મૅનેજમેન્ટને ખબર હતી કે સોમવારે વાલીઓનાં ધાડેધાડાં સ્કૂલમાં ઊમટી આવશે. આ કારણે જ સ્કૂલ મૅનેજમેન્ટ તરફથી વાલીઓને સોમવારે સવારે જ તમામ વાલીઓને એવો એસએમએસ મોકલવામાં આવ્યો હતો કે આજે વહીવટી કામકાજને લીધે સ્કૂલમાં રજા રહેશે અને વાલીઓએ પણ સ્કૂલમાં ધસી આવવું નહીં, કારણ કે પ્રિન્સિપાલ વ્યસ્ત હોવાથી તેમને મળી શકશે નહીં. આને કારણે વાલીઓમાં વધુ ચિંતા વ્યાપી હતી.