આગામી ચાર-પાંચ દિવસમાં સુરતમાં વાવાઝોડું ટકરાય એવી સંભાવના
પ્રતીકાત્મક તસવીર
વાવાઝોડું ફરી ગુજરાતના કાંઠા વિસ્તારોને ઘમરોળે એવી સ્થિતિ ઊભી થઈ છે. આગામી ચાર-પાંચ દિવસોમાં વાવાઝોડું સુરતમાં ટકરાય એવી સંભાવના છે. અરબી સમુદ્રમાં બની રહેલી સાઇક્લોનિક સિસ્ટમને કારણે ૪ જૂનની આસપાસ સુરતમાં વાવાઝોડું ટકરાય એવી સંભાવના છે. સુરત જિલ્લાના અનેક વિસ્તારો પર વાવાઝોડું ટકરાશે. વાવાઝોડાને કારણે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. પવન સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. કેરળની નજીક અરબ સાગરના તળથી ૫.૮ કિલોમીટર ઉપર સાઇક્લોનિક સર્ક્યુલેશન પૅર્ટન બની રહી છે. આ સિસ્ટમ પાંચ દિવસ બાદ ચક્રવાતમાં પરિવર્તિત થઈને ગુજરાતમાં પોરબંદર-સૌરાષ્ટ્રમાં આગમન કરશે એવી ચેતવણી આપવામાં આવી છે.
જો વાવાઝોડાની દિશા બદલાઈ તો સુરતમાં ૩થી ૪ જૂનની વચ્ચે ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ભારે પવન સાથે ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે ચક્રવાતને લઈને હજી કોઈ અધિકારિક જાહેરાત કરી નથી. ડિસેમ્બર, ૨૦૧૭ના પહેલા સપ્તાહમાં કેરળની નજીક એક લો પ્રેશર ડેવલપ થઈને ચક્રવાતમાં પરિવર્તિત થયું હતું. આ વાવાઝોડાને ઓખી નામ આપવામાં આવ્યું હતું. ઓખી વાવાઝોડાની ચેતવણીથી તંત્ર અલર્ટ થયું હતું અને કાંઠા વિસ્તારનાં ગામડાઓની સાથે-સાથે શહેરોનાં કાચાં ઘરોમાં રહેનારાઓનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
ઓખી વાવાઝોડું સુરતની નજીક સમુદ્રમાં સમાઈ ગયું હતું, જેનાથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. ગુજરાત તરફ વધી રહેલા ચક્રવાતનો સામનો કરવા માટે સુરત મહાનગરપાલિકાની ટીમે તૈયારી કરી લીધી છે. મંગળવારે આયોજિત મીટિંગમાં સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ અધિકારીઓ સાથે તૈયારીઓનું પ્લાનિંગ કર્યું હતું. જોકે શહેરમાં પ્રી-મૉન્સૂન કામગીરી પણ તેજીથી ચાલી રહી છે એવું તેમણે જણાવ્યું. આ સાથે જ ગુજરાત તરફ અરબ સાગરમાંથી આવી રહેલા ચક્રવાતનો સામનો કરવા માટે પાલિકાની ટીમ પણ તૈયાર છે.