સરકારી ખર્ચે નહોતી સોનિયા ગાંધીની ફૉરેન ટ્રિપ : સીઆઇસી
કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીની ૧૮૮૦ કરોડ રૂપિયાની ફૉરેન ટ્રિપનો ખર્ચ સરકારી તિજોરીમાંથી આપવામાં આવ્યો હોવાનો દાવો કરીને ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ વિવાદ ઊભો કર્યો હતો, પણ ચીફ ઇન્ફર્મેશન કમિશનરે (સીઆઇસી) રાઇટ ટુ ઇન્ફર્મેશન (આરટીઆઇ) ઍક્ટ હેઠળ કરવામાં આવેલી અરજીનો જવાબ આપતાં મે મહિનામાં આપેલા ચુકાદામાં કહ્યું હતું કે સોનિયા ગાંધીએ સરકારી ખર્ચે વિદેશપ્રવાસ કર્યો નહોતો. મોદીએ એમ પણ કહ્યું હતું કે જો તેમનો આક્ષેપ ખોટો પુરવાર થશે તો તેઓ જાહેરમાં સોનિયા ગાંધીની માફી માગશે ત્યારે સીઆઇસીના આ ચુકાદા બાદ મોદી શું વલણ અપનાવે છે એ જોવાનું રહે છે.
ઉત્તર પ્રદેશના મોરાદાબાદના નવીનકુમાર નામના માણસે સોનિયા ગાંધીની સારવાર પાછળના ખર્ચની વિગતો વડા પ્રધાન કાર્યાલય, નૅશનલ ઍડ્વાઇઝરી કાઉન્સિલ, લોકસભા સચિવાલય તથા વિદેશ મંત્રાલય સહિતના વિભાગો પાસે માગી હતી. આ અરજી પર સીઆઇસી સત્યેન્દ્ર મિશ્રા સમક્ષ થયેલી સુનાવણીમાં તમામ મંત્રાલયોએ જાણકારી આપી હતી કે સોનિયા ગાંધી દ્વારા સારવારનો ખર્ચ મેળવવા માટે કોઈ પણ પ્રકારનાં બિલ રજૂ કરવામાં આવ્યાં નહોતાં. મંત્રાલયો દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતાના આધારે સીઆઇસીએ ત્રીજી મેએ આપેલા ચુકાદામાં કહ્યું હતું કે સોનિયા ગાંધીના વિદેશપ્રવાસ પાછળ અત્યાર સુધીમાં કોઈ સરકારી ખર્ચ કરવામાં આવ્યો નથી. સત્યેન્દ્ર મિશ્રાએ ચુકાદામાં એમ પણ કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિએ ભારતમાં કે વિદેશમાં સારવાર પાછળ વ્યક્તિગત ખર્ચ કર્યો હોય તો એની વિગતો આરટીઆઇ ઍક્ટ હેઠળ મળી શકે નહી.
નરેન્દ્ર મોદીએ સોમવારે એક જાહેર સભામાં સોનિયા ગાંધીના વિદેશપ્રવાસનો ૧૮૮૦ કરોડ રૂપિયાનો ખર્ચ સરકારી તિજોરીમાંથી આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. એ પછી મંગળવારે બીજેપીએ પણ મોદીને સપોર્ટ આપતાં સોનિયા ગાંધીના વિદેશપ્રવાસની વિગતો જાહેર કરવાની માગણી કરી હતી. કૉન્ગ્રેસે જોકે મોદીના આક્ષેપો નકાર્યા હતા. મોદીએ એમ પણ કહ્યું હતું કે જો તેમની વાત ખોટી પુરવાર થશે તો તેઓ જાહેરમાં સોનિયા ગાંધીની માફી માગશે.